Mysamachar.in-જામનગર
જામનગર ખાતે કોવિડની લડાઈમાં વધુ અસરકારક લડત લડવા માટે ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર બે દિવસથી જામનગરની મુલાકાતે છે, જ્યાં તેમણે કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો, યુ.એચ.સી વગેરેની મુલાકાત લઈને જામનગર જિલ્લો આ મહામારી સામેની લડાઈમાં વધુ અસરકારક રીતે લડત આપી શકે એ માટે બેઠકો યોજી માઈક્રો પ્લાનિંગ કરેલ છે. ત્યારે આજરોજ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે યોજાયેલી બેઠકમાં કોવિડ હોસ્પિટલ અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં હાલ જી.જી.હોસ્પિટલ ખાતે 698 બેડ ઉપલબ્ધ છે આ ઉપરાંત ટી.બી.સી.ડી બિલ્ડીંગ ખાતે 127 બેડ, જુના સીઝનલ ફ્લૂ વોર્ડ સર્જરી બિલ્ડીંગ ખાતે 220 બેડ તેમજ જૂની બિલ્ડીંગ ખાતે 150-190 જેટલા બેડ કોવિડ માટે તાત્કાલિક તૈયાર કરવામાં આવશે,જેમાં 15 આઇ.સી.યુ. બેડ પણ રહેશે આમ જામનગર ખાતે કોવિડની સારવાર માટે 1200 બેડની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ ખાતે વધારાના 60 વેન્ટિલેટરની આવશ્યકતા હોય તેની પણ તાત્કાલિક પૂર્તિ કરવામાં આવશે, હાલ હોસ્પિટલ ખાતે 160 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હોસ્પિટલના દરેક માળને સેપરેટ ઓક્સિજન લાઈન બેકઅપ નાખવાની પ્રક્રિયા પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવેલ છે. આ સાથે જ હાલમાં કોવિડ દર્દીઓ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આવતા હોય તેમને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હોઇ ઓક્સિજનની મોટી 20,000 લીટરની ટેંક મૂકવા માટેની કાર્યવાહી પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. હોસ્પિટલના સ્ટાફને સમયાંતરે ડિઝાસ્ટર મોકડ્રીલ પણ કરાવવામાં આવશે. કોવિડની સારવાર માટે આવશ્યક ઇંજેકશન રેમ્ડેસીવીરનો પૂરતો જથ્થો પણ પૂરો પાડવામાં આવશે. દરેક વોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી અને ડેટાની ચોકસાઈ રહે તે માટે ટેબલેટ આપવામાં આવશે, આ ઉપરાંત સિવીયર અક્યુટ રેસ્પીરેટરી ઇલનેસ ધરાવતા દર્દીઓ ડેટાનું પ્રોજેક્શન અને એનાલીસીસ પણ કરવામાં આવશે.
હાલમાં 25 ખાનગી એનેસ્થેસિયા અને પલ્મોનોલોજી ડોકટરો હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે તેમાં વધારો કરી અન્ય પ્રાઇવેટ ડોક્ટરોને પણ કોવિડમાં સેવા આપવા માટે જોડવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં કોરોના માટેના આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેક્શન માટે હોસ્પિટલમાં ઉપરના માળે દર્દીઓને જવું પડતું જ્યારે હવેથી તેમના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા ઓ.પી.ડી સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર જ કરવામાં આવશે. કોવિડના દર્દીના સગાઓને હોસ્પિટલ ખાતેથી તેમના સ્વાસ્થ્યની જાણ થતી રહે તે માટે હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવેલ છે જેમાંથી હવે દર્દીના સગાને દિવસમાં એકવાર ફોન કરી કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. તદુઉપરાંત જે દર્દી સાજા થઇ ડિસ્ચાર્જ મેળવતા હશે તેવા દર્દીના પરિવારને ડિસ્ચાર્જના અગાઉના દિવસે તેમના વિશેની જાણ કરવામાં આવશે અને દર્દીને ડિસ્ચાર્જના દિવસે સવારે 12:00 થી 1:00 વાગ્યા દરમિયાનમાં બપોરના ભોજન બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમજ પેશન્ટ અટેંડંટની નિમણૂંક કરાશે.
સાથે જ જે દર્દીના સગા ડિસ્ચાર્જ સમયે દર્દીને લેવા ન આવી શકે અથવા વાહન ન હોય તેવા દર્દીને ઘરે મુકવા જવા માટે પણ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. ડિસ્ચાર્જ થયેલ દર્દીઓને ડિસ્ચાર્જ સમયે ડિસ્ચાર્જ કીટ આપવામાં આવશે, જેમાં સેનેટાઈઝરની બોટલ, ત્રિપલ લેયર માસ્ક, પાણીની બોટલ તેમજ ડિસ્ચાર્જ થયા બાદ પણ ધ્યાનમાં રાખવાની બાબતોનું” ડુ એન્ડ ડોન્ટ પેમ્ફલેટ આપવામાં આવશે. કોવિડના દર્દીના સગાઓ માટે બેરીકેટની આગળ ટેમ્પરરી વેઇટીંગ એરિયા બનાવવામાં આવશે. સંપૂર્ણ હોસ્પિટલમાં સતત સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આમ, બેઠકમાં અનેક આવશ્યક નિર્ણય લઇ જામનગરના લોકોને આ સંક્રમણમાં વધુ ગુણવત્તાલક્ષી સારવાર આપવા માટે અને સંતોષકારક સેવા આપવાના ધ્યેય સાથે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે.