Mysamachar.in-જામનગર:
જામનગરમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા જામનગર મહાનગરપાલિકા અને જામનગર જિલ્લા વહિવટીતંત્રના સંયુકત પ્રયાસો નિશદિન ચાલી રહ્યા છે. જામનગરના સુભાષ માર્કેટ, એસટી બસ સ્ટેન્ડ, જી.જી. હોસ્પિટલ, લાલ બંગલો સર્કલ અને રેલવે સ્ટેશન ખાતે જંતુનાશક દ્રાવણ(ડિસઈન્ફેકશન)નો છંટકાવ કર્યા બાદ આજે જામનગરના જાહેરજનતાના ઉપયોગમાં લેવાતા વિવિધ વિસ્તારો જેવા કે, બ્રુક બોન્ડ વિસ્તાર થી લઇ પટેલ કોલોની રોડ, ડી.કે.વી સર્કલ, જી.જી. હોસ્પિટલ રોડ અને અંબર ચાર રસ્તા વગેરેમાં સોડિયમ હાઇપોક્લોરાઇડના દ્રાવણથી ફોગીંગ મશીન દ્વારા જંતુમુક્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
આવનારા દિવસોમાં સમગ્ર જામનગર શહેરમાં દરેક સ્થળો પર સોડિયમ હાઇપોક્લોરાઇડનો છંટકાવ કરવામાં આવશે. ખૂબ જ ઓછા પાણીના વપરાશ સાથે પાણીને મિસ્ટ બનાવીને દરેક સ્થળોને સંપૂર્ણ સેનીટાઇઝ કરવા એક સંસ્થા દ્વારા ફોગીંગ મશીન ઉપલબ્ધ કરાવી તંત્રને સહયોગ આપ્યો છે. જામનગરમાં બે દિવસ દરમિયાનમાં મહત્તમ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે.
કલેકટર રવિશંકરે જણાવ્યું કે, જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા તા. ૨૮ થી સમગ્ર નગરમાં ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાહેર સ્થળો પર લોકોનું આવનજાવન રહે છે, વળી લોકો મેડીકલ સ્ટોર કે જીવન જરૂરી વસ્તુઓ જ્યાંથી ખરીદે છે તે સ્થળો પર રોડ પર ઉભા રહે છે ત્યાં વધુ લોકોની અવરજવર હોવાથી ચેપની શક્યતા પણ વધુ હોઇ દુકાનોની દિવાલોથી રોડ સુધી સંપૂર્ણ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે. જેમાં બે ફાયર ફાયટર અને એક ફોગીંગ મશીનને કામે લગાડવામાં આવ્યા હતા. પાણી સાથે સોડિયમ હાયપોક્લોરાઇડનું રાસાયણ ઉમેરી તેનો છંટકાવ કરવામાં આવે છે. ફાયર ફાયટરમાં પાણી સાથે રસાયણ ઉમેરવામાં આવે છે અને તે બાદ તેથી નગરની ગલીઓ, ઓટલાઓ, દિવાલો ઉપર સ્પ્રે કરવામાં આવે છે પરંતુ ફોગીંગ મશીનના ઉપયોગથી પાણીના બચાવ સાથે આ કામગીરી ચોકસાઇપૂર્ણ કરી શકાય છે તેથી આજરોજથી આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.