Mysamachar.in-જામનગર:
આજરોજ કલેકટર કચેરી ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસ સામે લડવા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં બૃહદ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય વિષયક, ક્વોરેંટાઇન સુવિધાઓ, આઇસોલેશન વોર્ડ અને સેમ્પલ ચેકિંગ અંગેની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ તંત્ર દ્વારા કવોરેન્ટાઇન સેન્ટરો અને જી.જી.હોસ્પિટલ ખાતે બેડની સુવિધાઓ, વેન્ટિલેટરની સુવિધાઓની તૈયારીઓ અંગે જણાવવામાં આવ્યું હતું.
આ તકે તંત્ર દ્વારા કોરોનાની બીમારી સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરતા મંત્રી આર.સી.ફળદુએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ બીમારી સામે લડવા દરેક પ્રકારની તૈયારીઓ સંતોષકારક રીતે કરવામાં આવી છે ત્યારે જનતાને પણ અનુરોધ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે લક્ષ્મણરેખા ન ઓળંગવાની અપીલ કરી છે તેને જામનગરવાસીઓ પણ સમર્થન આપે અને તેનો અમલ કરે. આપણુ ગામ, આપણો જિલ્લો, આપણું રાજ્ય કે આપણું રાષ્ટ્રમાં કોરોના વાયરસની બીમારીને ફેલાવવામાં આપણે નિમિત્ત ન બનીએ અને ઘરમાં જ રહીએ તેમ કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, જીવન જરુરિયાતની દરેક વસ્તુઓઆ સમયમાં પણ દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવી જ રહી છે અને હજુ પણ આવશે. લોકો કોઇ અફવાથી ન ભરમાય, સ્વચ્છતા જાળવે, વારંવાર હાથ ધોઈ સેનીટાઇઝરનો ઉપયોગ કરી આ બીમારીને રોકવામાં આગળ આવે, પોતાની જાતને સાચવે અને પરિવારને પણ બચાવે.
આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અને આ વાઇરસને ફેલાતો અટકાવવા સામાજિક અંતર રાખવાની અપીલ કરતા કહ્યું હતું કે, વિશ્વના અનેક પ્રગતિશીલ દેશોમાં આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આ મહામારીનો કોઈ ઉપાય નથી અને તેનાથી બચવા આપણે વાઇરસથી બચવું જ રહ્યું. આ માટે લોકો કોઈપણ સ્થળે એકઠા ન થાય તદુપરાંત જીવનજરૂરી ચીજોની દુકાનો પર પણ પાંચથી વધુ લોકો ન એકઠા થાય, તે પાંચ લોકો પણ સામાજિક અંતર જાળવે જેથી આ વાઇરસને ફેલાતો અટકાવી શકાય. સાંસદએ કોઈપણ વ્યક્તિને તેમજ પશુઓને પણ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે અને તે માટે તંત્ર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, એસ.પી.શરદ સિંઘલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.