Mysamachar.in-જામનગર:
લાંબા સમયથી સાતમા પગારપંચનો લાભ મેળવવા લડત કરતા કોર્પોરેશનની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના શિક્ષકોના પગના તળીયા ઘસાઇ ગયા પરંતુ હકના નાણા ન મળ્યા કેમકે ચુકવવાના છે, સવાત્રણ કરોડ અને સરકારે ફાળવ્યા માત્ર ચોપન લાખ….!!! તેમાથી પણ સમિતી અમુક હિસ્સો ફાળવતી નથી એ વળી નવી શંકા ઉભી થઇ છે, જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 199 નિવૃત શિક્ષકોને રૂ.3.17 કરોડ એક વર્ષથી ચૂકવવાના બાકી છે.હાઇકોર્ટના આદેશ બાદ પણ ઉચ્ચતર પગાર ધોરણ અને પેન્શન તફાવતની રકમના ચૂકવણામાં ઠાગાઠૈયા કરાતાં કચેરીના ધક્કા ખાઇને શિક્ષકો ત્રાહીમામ પોકારી ગયા છે. બજેટમાં કરોડોની જાહેરાત પણ શિક્ષકોને ચૂકવવા ગુજરાત સરકાર પાસે નાણાં નથી તેવો અણિયારો સવાલ શિક્ષકોમાં ઉઠયો છે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિવૃત શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ અને તે મુજબ પેન્શનના લાભ આપવા પેન્શનર ફેડરેશને હાઇકોર્ટમાં દાવો કર્યો હતો.જે ચાલી જતાં હાઇકોર્ટે ફેડરેશનના સભ્યોને ઉચ્ચતર પગાર ધોરણ અને પેન્શન તફાવતની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.જે અનુસાર ફેડરેશનના સભ્યોને આ રકમ ચૂકવવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ પેન્શનર ફેડરેશન ન હોય તેવા શિક્ષણ સમિતિના 199 નિવૃત શિક્ષકોને પણ વર્ષ 1987 થી 2013 ના સમયગાળાનો ઉચ્ચતર પગાર ધોરણ અને પેન્શન તફાવતની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.જે અનુસાર શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણની 10 ટકા અને પેન્શન તફાવતની 10 રકમ મળી કુલ રૂ.3.17 કરોડ શિક્ષણ સમિતિએ ચૂકવવાના થતાં હતાં. આથી શિક્ષણ સમિતિએ ગત તા.13/6/2018 ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક પાસે નિવૃત શિક્ષકોને નાણાં ચૂકવવા ગ્રાન્ટની માંગણી કરી હતી. પરંતુ માર્ચ-2019 માં ફકત રૂ.54 લાખની ફાળવણી કરી હતી.જેને એક વર્ષ થવા છતાં હજુ સુધી સમિતિના 199 નિવૃત શિક્ષકોને ઉચ્ચતર પગાર અને પેન્શન તફાવતની રકમ ન મળતાં કચેરીના ધકકા ખાઇ ત્રાહીમામ પોકારી ગયા છે.
-શિક્ષણ સમિતિ મળેલી રકમ ચાઉ કરી ગઇ હશે તો.?
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્રારા સમિતિને રૂ.54 લાખ ફાળવવામાં આવ્યા છે ત્યારે આ નાણાં સમિતિ પાસે અનામત પડયા છે કે અન્ય જગ્યાએ ખર્ચ કરી નાંખ્યો તે પણ તપાસનો વિષય છે. આ ચિંતાથી પેન્શનરો એટલે વ્યથીત છે કે આવેલી રકમમાં થી જેટલાને ચુકવી શકાય એટલુ ચુકવણુ ન થયુ અથવા સમાન ભાગે સૌને મળવા પાત્રમાંથી પણ અમુક રકમ ચુકવાતી નથી.