Mysamachar.in-જામનગર
ગતરાત્રીના જામનગરમાં એવી ઘટના બની જે કદાચ પ્રથમ વખત બની છે, તેવું જાણકારોનું માનવું છે, અને આ ઘટનાથી રણજીતસાગર ડેમ આસપાસના ગામોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો, જામનગરમા એક તરફ શહેરમાં જ ઢોરના ત્રાસે માજા મુકી છે, ગતરાત્રે કોર્પોરેશનના ઢોરના ડબાના દરવાજા કોઇ માથાભારે શખ્સો તોડી જતા ત્રણસો જેટલા ઢોર વછુટ્યા અને આજુબાજુના વિસ્તાર ગામડા રસ્તા ખેતરોમાં આતંક ફેલાયો હતો સૌ પ્રથમ વખત બનેલી આ હિચકારી ઘટનાએ કોર્પોરેશનને અને આ વછુટેલા ઢોરનો ત્રાસ વેઠનાર લોકોને હચમચાવી મુક્યા હતા,
જામનગર રણજીતસાગર રોડ ઉપર આવેલા મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ફરજ ઉપર રહેલા સિક્યુરિટી ગાર્ડને બંદી બનાવી એક ઇકો કારમાં આવેલા અજાણ્યા માથાભારે જેવા છથી સાત શખ્સોએ ગત રાતે ઢોર ડબાનો મુખ્ય દરવાજો તોડી નાખી 300 જેટલા ઢોર છોડી મુક્તા અફડાતફડી મચી જવા પામી હતી જેથી ઢોર ડબ્બામાં પુરાયેલા તમામ પશુઓ રસ્તા ઉપર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તરફ તેમજ ખેતરોમાં નાસી છુટ્યા હતા, એકાએક આ આતંક ફેલાતા આજુબાજુના વાડી અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોના ટોળાં ઢોર ડબે હતપ્રત થઇ દોડી આવ્યા હતા,
આ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો પડતા જ રાત્રીના મનપાના અધિકારીઓ ઢોરડબ્બા ખાતે પહોચ્યા હતા, અને પોલીસને બોલાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, આ વિચિત્ર ઘટનાની પોલીસ ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં સિક્યુરીટી ગાર્ડ ભીખાભાઈ તમ્બોલીયાએ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ ઇકો ફોર વ્હીલર GJ-10-DA-2004મા આવેલ રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા જે શાંતિનગરમાં રહે છે તે તેમજ તેની સાથે આવેલ અન્ય પાચ શખ્સોએ ઢોરડબ્બા ખાતે આવી ગૌશાળાની બહાર ઉભા રહી ફરિયાદી સિક્યુરીટી ગાર્ડને ગાળો આપી અને દરવાજાને ધકો મારી તોડી નાખ્યો હતો,
આ રીતે ગેરકાયદેસર મંડળી રચી ગૌશાળામા અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યા બાદ ફરિયાદી સિક્યુરીટીગાર્ડને ધકો મારી પાડી દીધા બાદ તેને આવેલ શખ્સો ગાળો કાઢી તમે પશુ ઢોરને કાંઇ ઘાસચારો નાખતા નથી અને કતલખાને મોકલી દયો છો તેમ કહી ગૌશાળામા રહેલ આશરે 250-300 જેટલા પશુ ઢોરને ગૌશાળાની બહાર કાઢી મુકી બાદમાં પોતે પોતાની ઇકો ગાડી લઇ નાસી છુટ્યા બાદ આ મામલે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં આ તમામ સામે ઇ.પી.કો કલમ-143, 147, 427, 447, 323, 504 તથા ધ પ્રિવેન્સન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3(1)(2) મુજબ ગુન્હો નોંધી પીએસઆઈ જે.ડી.પરમારે તપાસ હાથ ધરી છે.