Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર માટેના ડબ્બાઓનું સંચાલન થોડાં થોડાં સમયે ચર્ચાઓનો વિષય બને છે. પછી, રજૂઆતો થાય છે. જનતા રેડ પડે છે. RTI અરજીઓ થાય છે. વિપક્ષ આંદોલન કરે છે. આવેદનપત્ર અપાય છે. ઉહાપોહ થાય છે. પછી બધું થોડાં સમય માટે શાંત થઈ જાય છે. આ વિભાગની ઉંડી તપાસ કયારેય, કોઈ કરતું નથી. રેકર્ડ પરની વાસ્તવિકતા આ છે.
વધુ એક વખત ઢોર ડબ્બાનો મુદ્દો ચર્ચાઓમાં આવ્યો છે. હિન્દુ સેના દ્વારા RTI માં કેટલીક વિગતો અને માહિતીઓ માંગવામાં આવી હતી. તંત્ર દ્વારા તેના જવાબો આપવામાં આવ્યા છે. જેમાં એક મુદાનો જવાબ આપવામાં આવ્યો નથી. મહાનગરપાલિકા પાસે જવાબ આપતી વખતે આ માહિતીઓ હતી જ નહીં, એવો જવાબ મહાનગરપાલિકાએ આપ્યો છે. તેથી અરજદારને અચરજ થઈ રહ્યું છે અને અરજદારે પ્રશ્ન ઉઠાવ્યો છે.
હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે પૂછેલાં પ્રશ્નના ઉત્તરમાં, RTI અરજીના જવાબમાં મહાનગરપાલિકાએ જાહેર કર્યું કે, વર્ષ 2023 દરમિયાન કોર્પોરેશન દ્વારા કુલ 4,856 પશુઓ પકડી લેવામાં આવેલા. અન્ય એક જવાબમાં મહાનગરપાલિકાએ કહ્યું: 2023ના વર્ષ દરમિયાન 2,672 પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા. 31-12-2023ની સ્થિતિએ, ડબ્બામાં કુલ 1,190 પશુઓ છે. આ જવાબો પરથી અરજદારે એવો આક્ષેપ કર્યો કે, ઉપરોકત આંકડા મુજબ 994 પશુઓ 2023 દરમિયાન મરણ પામ્યા કે લાપતા થયા ? આ વિગતો મહાનગરપાલિકા પાસે નથી. (આ વિગતો મહાનગરપાલિકા પાસે શા માટે નથી ? તે જાણવા અલગથી RTI અરજી આપવી પડે !)
હિન્દુ સેનાએ કહ્યું છે કે, પશુઓ માટેના ડબ્બાના 20 ટકા પશુઓ એવા હોય છે જેની ચોપડે નોંધ થતી નથી, એવું મહાનગરપાલિકાના આ જવાબો પરથી દેખાઈ આવે છે. આ બેદરકારીઓ કોની ? કે જાણી જોઈને અપૂરતી વિગતો જાહેર કરવામાં આવી છે? ડબ્બામાં ગૌવંશ સાચવવામાં બેદરકારીઓ ચાલે છે ? આ અંગે આંખ મિંચામણા કોણ કરી રહ્યું છે ? સેનાએ તપાસ અને યોગ્ય કાર્યવાહીની કમિશ્નરને વિનંતી કરી છે. આ પ્રકરણમાં એક અન્ય અને ચોંકાવનારી બાબત એ પણ બહાર આવી છે કે, શહેરમાંથી પશુઓ પકડવાની જે કામગીરીઓ થાય છે, તેના ખર્ચના હિસાબો અલગથી નિભાવવામાં આવતાં નથી.