Mysamachar.in:જામનગર
સમૃદ્ધ અને સુખી ગુજરાતમાં કુપોષણ ચિંતાનો અને ગંભીર મુદ્દો રહ્યો છે. આ વર્ષે પણ માતા-બાળમરણ તથા ઓછાં વજનવાળા બાળકોનાં જન્મનાં આંકડા નોંધપાત્ર રહ્યા છે ! જામનગર જિલ્લામાં પણ બાળમરણનો આંકડો મોટો રહ્યો છે ! જામનગર જિલ્લા પંચાયતનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હારૂન ભાયાએ જણાવ્યું છે કે, એપ્રિલથી જૂન દરમિયાન જામનગર જિલ્લામાં 0-5 વર્ષનાં 41 બાળકોનાં તથા એક પ્રસૂતાનું મોત નોંધાયું છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનાં મુખ્ય અધિકારી ડો. સુભાષ પ્રજાપતિ જણાવે છે કે, શહેરમાં 0-5 વર્ષનાં બાળકોનાં નોંધાયેલા મોત એપ્રિલ મહિનામાં 9, મે મહિનામાં 10 અને જૂન મહિનામાં 7 એમ કુલ 26 બાળકોનાં મોત નોંધાયા છે. આ રીતે સમગ્ર જિલ્લામાં કુલ 67 બાળકો અને એક ધાત્રી માતાનું મોત નોંધાયું છે.
ગુજરાતમાં 90 દિવસમાં 2,447 નવજાત શિશુઓના મરણ નોંધાયા છે. 156 પ્રસૂતાનાં મોત થયા છે. કુપોષણ ચિંતાજનક છે. આ 90 દિવસમાં જન્મેલાં બાળકો પૈકી 27,138 બાળકો ઓછાં વજનવાળા છે. રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો નથી ! કિશોરીઓ, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. કરોડો રૂપિયાનો ખર્ચ પણ થાય છે.
ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોનાં જન્મ દરમિયાન 30,000 બાળકોનાં મોત થાય છે. દાહોદ અને અમદાવાદ જિલ્લામાં મોતને ભેટતા 0-5 વર્ષનાં બાળકોની સંખ્યા વધુ રહે છે. અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં રાજ્યમાં ઘટાડો નોંધાતો નથી ! છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 7.15 લાખ બાળકો કુપોષિત રહ્યા છે. સરકારનો હેલ્થ ડેટા આમ કહે છે. રાજ્યમાં કુપોષિત બાળકો અને માતાઓ તથા કિશોરીઓનો સર્વે કરવામાં આવે તો, તોતિંગ આંકડા બહાર આવી શકે, એમ જાણકારો કહે છે.