Mysamachar.in-જામનગર :
જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો મનપાની માલિકીનો અને રાજાશાહી સમયમાં નિર્માણ પામેલ એક માત્ર રણજીતસાગર ડેમ છે, આ ડેમ જામનગરની જીવાદોરી સમાન છે, અહી સંગ્રહ થતું પાણી ગ્રેવિટીથી જામનગર શહેરીજનોને મળે છે.અને આ ડેમ બન્યાના વર્ષો બાદ આજે પણ ડેમનું સ્ટ્રક્ચર અડીખમ છે. ત્યારે આ ડેમમાંથી વધુ પાણી મેળવી શકાય તે માટે મનપાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ સહિતની ટીમના માર્ગદર્શનમાં નવા બનેલ પંપ હાઉસથી રણજીત સાગર ડેમ સુધી 28 કરોડના ખર્ચે નવી પાઈપ લાઇન પાથરવાનું કામ છેલ્લા 4 માસથી ચાલી રહ્યું છે. જે કામ આગામી ચોમાસાની ઋતુ એટલે કે જુન 2024 પૂર્વે પૂર્ણ થઇ જશે,.
પંપ હાઉસથી રણજીતસાગર ડેમ સુધી 7 કિલોમીટરના આ કામમાં 1000 ડાયામીટરની ખાસ પ્રકારની પાઈપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયે હાલ જે 25 MLD પાણી રણજીતસાગરમાં થી મળે છે તેને બદલે વધુ 20 MLD પાણી પણ રણજીતસાગર ડેમમાંથી ગ્રેવિટીથી મેળવી શકાશે તેવું આયોજન હોવાનું કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ અને નાયબ ઈજનેર દર્શન દાઉદ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું.વધુમાં તેવોએ કહ્યું કે જે કામ હાલ 40 % પૂર્ણ થયું છે તેની તાજેતરમાં જ કમિશ્નર ડી.એન.મોદી દ્વારા સાઈટ વિઝીટ પણ કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન કમિશ્નર તરફથી તેમજ પદાધિકારીઓ તરફથી મળી રહ્યું છે.