Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકારે આઠ વર્ષ અગાઉ 2017થી રાજ્યમાં ધ રિયલ એસ્ટેટ એક્ટ (RERA)નો અમલ શરૂ કર્યો છે. ઘણાં બિલ્ડર અને પ્રમોટર એવા છે જે પોતાનો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ રેરામાં નોંધણી કરાવે છે પરંતુ બાદમાં આ ઓથોરિટીમાં વિવિધ નિયમો અનુસારના નાણાં જમા કરાવતા નથી. ઓથોરિટીએ આવા 615 બાકીદાર પ્રમોટરના નામો જાહેર કર્યા છે. જેમાં જામનગરના એક પણ બિલ્ડર કે પ્રમોટરનું નામ નથી.
ઓથોરિટીએ જાહેર કરેલી બાકીદારોની યાદી જણાવે છે કે, વડોદરા અને અમદાવાદના સંખ્યાબંધ બાકીદારો આ ઓથોરિટીને નાણાં ચૂકવતા નથી. આ યાદીમાં ગાંધીનગર, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટ તથા પોરબંદરના બિલ્ડર તથા પ્રમોટરના નામોનો સમાવેશ થાય છે.
આ બાબતે જાણકારો એમ માને છે કે, જામનગર શહેર જિલ્લાના બિલ્ડર તથા પ્રમોટર હિસાબ કિતાબમાં ચોખ્ખા છે. કોઈનો રૂપિયો બાકી રાખતા નથી. એવો એક અર્થ તારવી શકાય. અથવા, બીજો અર્થ એમ પણ થઈ શકે કે, જામનગરમાં RERA સંબંધે લોલંલોલ ચાલી રહ્યું છે, કયાંય કોઈ ચકાસણીઓ થતી જ નથી. અથવા, જાહેર થતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં RERA એ રાજકોટના એક બિલ્ડર અને જામનગરના તેના ભાગીદારને લાખો રૂપિયાનો દંડ ફટકારેલો. આ કોન્ટ્રાક્ટર એજન્સીઓએ જામનગરમાં એક વૈભવી ઈમારત બનાવી છે.