Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
છેલ્લા ઘણાં વર્ષથી જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે કોરિડોર અને તે સંબંધિત ડિમોલીશન અને સૂચિત વિકાસકામોની વાતો થઈ રહી છે પરંતુ જમીની સ્તર પર કોરિડોર બાબતે કોઈ નક્કર કામગીરીઓ હાથ ધરવામાં આવી હોય એવું દેખાતું નથી. જ્યારે પણ થાય છે ત્યારે પરચૂરણ કામગીરીઓ થતી હોય એવો તાલ છે.
થોડા વર્ષ અગાઉ એમ જાહેર થયેલું કે, યાત્રાધામ દ્વારકા ખાતે કોરિડોર યોજના આવી રહી છે. જે અનુસંધાને અહીં મોટાપાયે દબાણો હટાવવા વગેરેની કાર્યવાહીઓ થશે અને બાદમાં જમીન સંપાદન થયા પછી, અહીં કોરિડોર યોજના અંતર્ગત કરોડોના વિકાસકામો થશે. પરંતુ આ સંબંધે લાંબા સમયથી પાલિકા હસ્તક કે કલેક્ટર તંત્ર લેવલે કોઈ નોંધપાત્ર કામગીરીઓ થઈ હોય એવું દેખાયું નથી.

થોડા થોડા સમયે પાલિકાને થોડું શૂરાતન ચડે છે. દ્વારકા મંદિર નજીક કેટલીક દુકાનોના ખપેડા કે બોર્ડ હટાવવામાં આવે છે. બહુ બહુ તો કેટલીક દુકાનોના ઓટલા કે હંગામી દબાણો એકાદ બે દિવસ પૂરતા હટાવવામાં આવે છે, બાદમાં બધું અગાઉ માફક ધમધમતું રહે છે. કોરિડોર માટે જરૂરી કાર્યવાહીઓ કે કામગીરીઓ હાથ ધરવામાં આવતી નથી, જેથી લોકોમાં એ જાણવાની જિજ્ઞાસા છે કે અહીં કોરિડોરની જે વાતો થઈ રહી છે તે કોરિડોર થશે કે કેમ, અથવા કોરિડોર થશે ક્યારે- એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
અન્ય એક મુદ્દો પણ નોંધનીય છે. સૂત્રના કહેવા અનુસાર, અહીં કોરિડોર બને એ અગાઉ કેટલીક સરકારી જમીનો પરના અને પાલિકાની કેટલીક જમીનો પરના કેટલાંક દબાણો હટાવવા પડે એમ છે. પરંતુ કોઈ કારણસર આ બધી કાર્યવાહીઓ અને કામગીરીઓમાં ભારે વિલંબ થતો જોવા મળી રહ્યો છે. કલેક્ટર તંત્ર હસ્તક કેટલીક સરકારી જમીનો પરના પાકા અને કોમર્શિયલ બાંધકામોની જગ્યાઓ ખાલી કરાવવા નોટિસ અપાયાની વાત છે પરંતુ આ નોટિસો અપાયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ ઝડપી કામગીરીઓ કરવામાં આવતી ન હોય, સમગ્ર વિષયમાં થઈ રહેલો વિલંબ ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે.

જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, જો કોરિડોર યોજનામાં આ રીતે જ વિલંબ થતો રહેશે તો મૂળ પ્રોજેક્ટના ખર્ચમાં મોટો વધારો સરકારે સહન કરવો પડશે અને બીજી તરફ દબાણકારોને આ પ્રોજેક્ટમાં વધુ ને વધુ મહેતલ મળી રહી હોય, સ્થાનિક તંત્રની નીતિરીતિઓ પણ લોકોમાં ચર્ચાઓનો વિષય બની રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૂળ પ્લાન મુજબ જો અહીં દ્વારકા કોરિડોર વેળાસર બની જાય તો દ્વારકાના પ્રવાસન સ્થળ તરીકેના વિકાસને ચાર ચાંદ લાગી શકે છે. દ્વારકા કોરિડોરની વિશેષતાઓ વધુ સહેલાણીઓને અહીં આવવા આકર્ષી શકે છે, જેનો લાભ સમગ્ર દ્વારકા શહેરના ધંધાર્થીઓ ઉપરાંત અન્ય વ્યવસાયોને પણ મળી શકે એમ છે. હાલમાં સરકારી જમીન પરના દસેક જેટલાં કબજેદારોને જે નોટિસો આપવામાં આવી છે, તે સંબંધે આગામી દિવસોમાં શું થઈ શકે છે, તેના પર સૌની નજર હોવાનું જાણવા મળે છે.(file image)
