Mysamachar.in-જામનગર:
રાજ્યભરમાં જામનગર સહિતના કેટલાંક મહાનગરોમાં ખાણીપીણીની ચીજોના નમૂનાઓની ક્વોલિટી તપાસવા તથા શુદ્ધતા નક્કી કરવા, સરકારે આ મહાનગરોને હરતીફરતી એટલે કે મોબાઈલ લેબોરેટરી આપી છે. પરંતુ આ મોબાઈલ લેબોરેટરી જામનગર શહેર કે જિલ્લામાં કોઈએ, કયારેય જોઈ હોય, એવું અત્યાર સુધીમાં સાંભળવામાં આવ્યું નથી. જો કે તંત્રનો દાવો છે કે, આ હરતીફરતી લેબોરેટરી આખો મહિનો ‘કામ કરે છે’.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફૂડ ચેકિંગ કરતી કોર્પોરેશનની ફૂડ શાખા અને શહેર સિવાયના જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ કામગીરીઓ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સંયુકત રીતે, રાજ્ય સરકારે એક મોબાઈલ વાન એટલે કે લેબોરેટરી ઓન વ્હીલ્સ આપી છે. આ વાહનની સાથે એક કેમિસ્ટ હોય છે, જે સેમ્પલ પરીક્ષણ કરે. આ વાહનને સરકારી વસાહતમાં પાર્ક કરવામાં આવેલું છે.

મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર દશરથ પરમાર જણાવે છે કે, કોર્પોરેશન તથા રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ મોબાઈલ લેબોરેટરીનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે. શહેરી વિસ્તારમાં કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આ વાનનો ઉપયોગ કરે છે.
તેમણે વધુમાં કહ્યું: આ વાનના ઉપયોગથી શહેરી વિસ્તારમાં દર મહિને પચ્ચીસેક જેટલાં ખાણીપીણીના ધંધાકીય એકમોને ત્યાંથી નમૂનાઓ લઈ આ લેબોરેટરીમાં પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવે છે. મહિને આશરે 70-80 જેટલાં નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. વધુ પરીક્ષણ માટે આ નમૂનાઓ વડોદરા મોકલવામાં આવે છે. આ મોબાઈલ લેબોરેટરીના પ્રાથમિક પરીક્ષણ રિપોર્ટના આધારે કસૂરવાર વેપારીઓ અને ઉત્પાદકોને જરૂરી સૂચનાઓ, નોટિસ આપવાની પ્રોસેસ અને સ્થળ પર દંડ પણ કરવામાં આવે છે, એમ આ અધિકારીએ ઉમેર્યું હતું. નગરજનો, અહીં નાનકડો સવાલ એ છે કે, ફૂડ ચેકિંગ માટેની આ મોબાઈલ લેબોરેટરી તમે કયારેય, કયાંય, કામ કરતી નિહાળી છે ?!
