Mysamachar.in- જામનગર:
જામનગરના એક નાગરિક દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, શહેરમાં સ્વચ્છતા જાળવવી મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ છે. આમ છતાં ઘન કચરાના નિકાલની કામગીરીઓ સંભાળતી કંપનીનું કામ લાંબા સમયથી બંધ છે. આ સ્થિતિઓ હોવા છતાં, મહાનગરપાલિકાએ આ કંપની વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરી નથી. કડક કાર્યવાહીઓ થવી જોઈએ, એમ આ પત્રમાં લખવામાં આવ્યું છે.
જામનગરના નીતિન માડમએ આ પત્રમાં જણાવ્યું છે કે, શહેરમાંથી ઘનકચરાના નિકાલની વૈજ્ઞાનિક વ્યવસ્થાઓ બે મહિના જેટલાં સમયથી બંધ છે. વેસ્ટ ટુ એનર્જી નામનો આ બંધ પ્લાન્ટ ધરાવતી કંપનીએ ટેન્ડર શરતનો ભંગ કરેલો છે. જેને કારણે કચરા નિકાલ કામગીરીઓમાં મહાનગરપાલિકાએ વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. આથી નિયમ અનુસાર મહાનગરપાલિકાએ આ વધારાનું આર્થિક ભારણ આ કંપની પાસેથી વસૂલવા અંગે કાર્યવાહીઓ કરવી જોઈએ.
તાજેતરમાં સાતમી જૂને CM જામનગર આવ્યા ત્યારે, એમણે ખુદે અધિકારીઓની બેઠકમાં સ્વચ્છતાની બાબતને અગ્રતા આપવા તાકીદ કરી હતી. પત્રમાં એમ પણ જણાવાયું છે કે, આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કંપની વિરુદ્ધ કાર્યવાહીઓ થવી જરૂરી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ કંપની સામે પગલાંઓ લેવા નિર્ણય થઈ શકે. જો મહાનગરપાલિકા આ દિશામાં જરૂરી કાર્યવાહીઓ નહીં કરે તો, આગામી સમયમાં આ મામલો અદાલતમાં પણ જઈ શકે છે, એમ આ પત્રના અંતમાં જણાવવામાં આવ્યું છે.મહત્વનું છે કે જે જગ્યા પર આ પ્લાન્ટ છે તે જગ્યા મનપાની માલિકીની છે અને શરતોનો ભંગ કરવા અંગે મનપા દ્વારા કંપનીને નોટીસ આપવા છતાં કંપની જવાબ આપવાની તસ્દી પણ ના લેતી હોય તેની સામે આકરા પગલા ભરવા જોઈએ.