Mysamachar.in-ગુજરાત
આજના સમયમાં કોઈ સ્માર્ટફોન ભાગ્યે જ એવો નીકળે કે જેમાં વોટ્સએપ કદાચ ના હોય, સૌથી પ્રિય મેસેજિંગ એપ વોટસએપ તેના યુઝર્સ માટે દર થોડા સમયે નવા ફેરફારો કરી અને નવા ફીચરો લાવતું રહે છે, એવામાં વોટ્સએપે યુઝર્સની જરૂરિયાત જોઇને એકવાર ફરીથી નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સને વોટ્સએપમાં આવતી દરેક અપડેટની નોટિફિકેશન મળશે. એટલે કે વોટ્સએપમાં જેવી કોઈ નવી અપડેટ આવશે તરત જ યુઝર્સને ખબર પડી જશે.
વોટ્સએપના ફીચર્સ અને અપડેટ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના જણાવ્યા પ્રમાણે, આ નવા ફીચરનું નામ ઈન-એપ નોટિફિકેશન હશે. તેની મદદથી યુઝર વોટ્સએપ પર આવતી દરેક અનાઉન્સમેન્ટ વિશે જાણી શકશે. હાલ વોટ્સએપના અપડેટ વિશે તેના બ્લોગ પર ખબર પડી જાય છે, પરંતુ બધા તે જોતા નથી. આ કારણે ઘણા યુઝર્સ લાંબા સમય સુધી અપડેટ કરી શકતા નથી. જો કે, ઈન-એપ નોટિફિકેશન પછી દરેક યુઝર્સને નવી અપડેટ અને તેના ફીચર્સ વિશે તરત જ ખબર પડી જશે.
વોટ્સએપની ટર્મ્સ એન્ડ કંડીશન દરેક યુઝર્સને ફોલો કરવી પડશે. યુઝર તેને એક્સેપ્ટ નહિ કરે તો તેમનું અકાઉન્ટ ડિલીટ થઇ શકે છે. વોટ્સએપ પોતાની સર્વિસની શરતો 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો વોટ્સએપ સર્વિસ મંજૂર નહિ થાય તો તમારું અકાઉન્ટ ડિલીટ થઇ શકે છે. વોટ્સએપના ફીચર્સ અને અપડેટને ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્ક્રીનશોટ પ્રમાણે, નવી શરતોમાં ચોખ્ખું લખ્યું છે કે, કોઈ યુઝરને કંપનીની શરતો મંજૂર નથી તો અકાઉન્ટ ડિલીટ કરી શકે છે.