Mysamachar.in-ગાંધીનગર:
સરકારી કામોમાં પારદર્શકતા અને પ્રમાણિકતા વધારવાના તથા ભ્રષ્ટાચાર ઘટાડવાના આશય સાથે, માહિતી અધિકારના કાયદાનો અમલ લાગુ કરેલો છે પરંતુ જમીની હકીકત એ છે કે, આ કાયદો છતાં સરકારના અધિકારીઓ ખુદ આ કાયદાનો અમલ થાય એમ ઈચ્છતા ન હોય એવી સ્થિતિઓ વર્ષોથી જોવા મળી રહી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં RTI કાયદાના અમલ માટે કેટલાંક આવકારદાયક ફેરફારો જાહેર કર્યા છે. પરંતુ જાણકાર નાગરિકો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે, સ્થાનિક સ્તરો પર અધિકારીઓ આ ફેરફારોનો અમલ કરાવશે ? કારણ કે અધિકારીઓ ઈચ્છતા હોય છે કે, એમના તાબાની કચેરીની ‘અમુક’ વિગતો બહાર ન આવે. કારણ કે આ ચોક્કસ પ્રકારની વિગતો જો બહાર આવી જાય તો, અધિકારીઓનું ‘રાજ’ લૂંટાઈ જાય એમ પણ બની શકે. સરકારે તાજેતરમાં જાહેર કર્યું છે કે, સરકારે વર્ષ 2023-24ના વાર્ષિક વહીવટી અહેવાલની કેટલીક ભલામણો સ્વીકારી લીધી છે. જેના આધારે સરકારે કેટલીક સૂચનાઓ જાહેર કરી છે.
આ સૂચનાઓમાં જણાવાયું છે કે, સરકારી કચેરીઓએ પોતાનું રેકર્ડ યોગ્ય રીતે જાળવવાનું રહેશે. અને વ્યવસ્થિત રીતે વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે. અરજદારોને પાંચ પાના સુધીની માહિતીઓ વિનામૂલ્યે આપવાની રહેશે. ઈ-મેઈલથી/ઓનલાઈન માહિતીઓ માંગવામાં આવે ત્યારે ફોટાઓ પાડીને માહિતીઓ આપવાની રહેશે.

અરજદારને રેકર્ડના નિરીક્ષણ માટે કચેરીમાં બોલાવવામાં આવે ત્યારે અરજદાર માહિતીઓના ફોટા પોતાના ડિવાઇસમાં લઈ શકશે. આ ઉપરાંત દરેક સતામંડળને જણાવાયું છે કે સંબંધિત કચેરીએ પોતાની RTI માટે જરૂરી માહિતીઓ પ્રોએક્ટિવ ડિસ્કલોઝર તરીકે જાતે જ જાહેર કરી દેવાની રહેશે તેથી અરજદારોને આ માહિતીઓ અરજીઓ કરીને માંગવી ન પડે.
ગેરકાયદેસર બાંધકામ અને દબાણ અંગેની કાર્યવાહીઓનું રેકર્ડ, પરમિટ, લાયસન્સ, પરવાનગી વગેરેની માહિતીઓ કચેરીએ સ્વયં પ્રસિદ્ધ કરવાની રહેશે. આ ઉપરાંત કોઈ અરજદારે RTI અરજી કરી હોય તો તે અનુસંધાને કચેરીએ શું કામગીરીઓ કરી તેની વિગતો અરજદારને ઓનલાઈન મોકલવાની રહેશે. અહીં અચરજની વાત એ છે કે, સરકારની આ વિસ્તૃત અને આવકારદાયક સૂચનાઓનું ધારો કે કોઈ કચેરી કે અધિકારી પાલન ન કરે તો, તેવા સંજોગોમાં સરકાર સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહીઓ કરશે અથવા અરજદાર આવા અધિકારીઓ વિરુદ્ધ ક્યાં ફરિયાદ દાખલ કરાવી શકે અથવા સરકારની સૂચનાઓનો અમલ ન કરનાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ દંડનીય કાર્યવાહીઓ થશે કે કેમ- વગેરે બાબતોનો સરકારની આ જાહેરાતમાં ઉલ્લેખ નથી. તેથી અરજદારો એમ માની રહ્યા છે કે, સરકારની આ સૂચનાઓ છતાં કચેરીઓ અને અધિકારીઓ પોતાની મનમાની ચાલુ જ રાખશે, અધિકારીઓ સરકારની આ સૂચનાઓનો પણ ઉલાળિયો કરશે !