Mysamachar.in-ગુજરાત:
વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં ચૂંટણીઓ દરમિયાન અપાતાં વચનો એક મોટો અને ગંભીર વિષય છે. ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીની તમામ ચૂંટણીઓમાં બધાં જ રાજકીય પક્ષો છૂટા મોંએ લોકોને એટલે કે મતદાતાઓને વચનોની લ્હાણી કરતાં હોય છે. જે પૈકી ઘણાં વચનો વરસો સુધી, અને કાયમ માટે હવામાં જ તરતાં રહે છે. અને કેટલાંક વચનોનો પછીથી અમલ શરૂ થાય ત્યારે કરદાતા નાગરિકો પર તેનો નાણાંબોજ આવતો હોય છે અને વચનોનો ફાયદો ચૂંટણીઓ દરમિયાન પક્ષો ઉઠાવી ગયા હોય છે ! જે આપણી લોકશાહી પદ્ધતિઓની ગંભીર ખામી છે.
આ મામલો છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. અદાલતમાં જાહેર હિતની અરજી થઈ છે. ભટુલાલ જૈન નામના એક અરજદારે આ અરજી દાખલ કરેલી જેની સુનાવણી દરમિયાન ખુદ સર્વોચ્ચ અદાલતે હાથ ઉંચા કરી દીધાં છે. અદાલતે કહી દીધું કે, અમો રાજકીય પક્ષોને ચૂંટણીઓ દરમિયાન વચનો આપતાં અટકાવી ન શકીએ, અમો પ્રતિબંધ ન મૂકી શકીએ, અમો નોટિસ આપી શકીએ અને તેઓનો જવાબ મંગાવી શકીએ.
જૈનની અરજીના આધારે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનની સરકારો અને કેન્દ્રીય ચૂંટણીપંચને નોટિસ મોકલાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બંને રાજયોમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. અને પક્ષો દ્વારા લોકોને વચનો આપવામાં આવી રહ્યા છે.
અરજદારે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ચૂંટણીઓવાળા રાજયો મતદાતાઓને ઉઘાડેછોગ નાણાંકીય સહાયો જાહેર કરતાં હોય છે જેને પરિણામે ચૂંટણીઓ બાદ જેતે રાજયની નાણાંકીય સ્થિતિ બગડી જતી હોય છે. જે બોજ આખરે તે રાજયના સરેરાશ કરદાતા નાગરિકોએ ઉઠાવવો પડતો હોય છે.
જાહેર હિતની આ અરજી હાલમાં સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ સમક્ષ ચાલી રહી છે. અરજદારના વકીલે અદાલતમાં કહ્યું: મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ તાજેતરમાં આવી સહાય જાહેર કરવા પ્રોમિસ આપ્યું છે. અદાલતે પૂછ્યું: અરજદાર હાઈકોર્ટ જવાને બદલે સીધાં જ સુપ્રિમ કોર્ટમાં શા માટે આવ્યા ? જેના જવાબમાં અરજદારના વકીલે કહ્યું કે, અન્ય રાજ્ય રાજસ્થાનમાં પણ આવો જ મુદ્દો છે. ત્યાં પણ ચૂંટણીઓ છે. આ દલીલો બાદ સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર, બંને રાજયોની સરકાર તથા ચૂંટણીપંચને નોટિસ મોકલવામાં આવી છે અને જવાબો માંગવામાં આવ્યા છે.