Mysamachar.in-ગાંધીનગર:
વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તે દરમ્યાન વડાપ્રધાન સમક્ષ એક રિપોર્ટ મૂકવામાં આવ્યો. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુજરાતમાં તેજ ગતિએ શહેરીકરણ અને શહેરોના વિકાસ થઈ રહ્યા છે. આ સ્થિતિઓ વચ્ચે ગુજરાત સરકારે ‘પાણી’ના મુદ્દા પર વધુ ધ્યાન આપવું પડશે. આ કમિટી હાઈ-લેવલની છે. જેની રચના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
શહેરોના વિકાસનું પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ- એ બાબતના અભ્યાસ માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીએ એમ પણ જણાવ્યું છે કે, વિકાસની બાબતોનું એડવાન્સ પ્લાનિંગ કરવું જોઈએ. અને તેમાં, પાણીનો મુદ્દો ધ્યાન પર લેવો હાલના સમયની જરૂરિયાત છે.
રિપોર્ટ કહે છે: રાજ્યના માત્ર 7 ટકા વિસ્તારમાં પ્લાનિંગ સાથે કામ થઈ રહ્યું છે. શહેરોની આસપાસ અને જિલ્લાઓના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઝડપે વસતિ વધી રહી છે. આવા વિસ્તારોનો તેજ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. આ તમામ વિસ્તારોને પ્લાનિંગ હેઠળ આવરી લેવા જરૂરી છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, શહેરોમાં તળાવો સહિતના જે જળસંગ્રહ સ્થાનો છે તેનું રક્ષણ થવું જરૂરી છે. કારણ કે આ શહેરોમાં વસતિ વધી રહી છે. અને પાણીની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. જે કમિટીએ આ રિપોર્ટ આપ્યો છે તે કમિટીના વડા નિવૃત IAS કેશવ વર્મા છે. આ ઉપરાંત આ કમિટીમાં શહેરી વિકાસ વિભાગના ACS અશ્વિનીકુમાર વાઈસ ચેરમેન તરીકે છે. કમિટીએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં આવેલાં તમામ જળયુક્ત અથવા ખાલી હોય એવા જાહેર અને ખાનગી તળાવોની માપણી કરવી જોઈએ. અને આ તમામ તળાવને સરકારે વોટરબોડી તરીકે જાહેર કરવા જોઈએ.
આ ઉપરાંત આ કમિટીમાં સુરતના મ્યુનિસિપલ કમિશ્નર સહિત અન્ય કેટલાંક IASનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે, શહેરોના સર્જનાત્મક વિકાસ માટે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ(TDR)ના ઉપયોગને પ્રોત્સાહન મળવું જોઈએ. રિપોર્ટ કહે છે, દરેક શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અસરકારક અને વ્યાપક બને અને પાર્કિંગ પોલિસીનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે એ દિશામાં આગળ વધવું આવશ્યક છે.

રાજ્યમાં વાહનોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 2024ની સાલમાં રાજ્યમાં 18 લાખ નવા વાહનોની નોંધણી થઈ. જેમાં 12 લાખ ટુ વ્હીલર, 3.5 લાખ ફોર વ્હીલર અને 4,000 બસનો સમાવેશ છે. 15 વર્ષ અગાઉ દર વર્ષે 41,000 વાહનોનું રજિસ્ટ્રેશન થતું જે આજે વધીને દર વર્ષે 18 લાખના આંકડે પહોંચી ગયું છે. શહેરોમાં ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવું પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ધ્યાન આપવું પડશે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા સિટી બસની સંખ્યા વધારવી જોઈએ. હાલમાં રાજ્યમાં સિટી બસની સંખ્યા માત્ર 2,000 છે, આ સંખ્યા વધારીને ઓછામાં ઓછી 9,000 કરવી જોઈએ એવી ભલામણ પણ આ કમિટીએ સરકારને મોકલી છે.
