Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં આગામી રવિવારે, 22મી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાશે. જેમાં જિલ્લાના તમામ 6 તાલુકાની 187 ગ્રામ પંચાયતોની નવી બોડીની રચના માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
જામનગર જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી (કલેક્ટર) કેતન ઠક્કરએ આ ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ અંગેની વિગતો પત્રકારોને આપી હતી. 174 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીઓ, વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી 6 અન્ય ગ્રામ પંચાયત અને 1 ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર તથા 6 ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણીઓ યોજાશે. રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીઓમાં જિલ્લાના કુલ 2,26,386 પુરૂષ મતદારો અને કુલ 2,16,178 સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કુલ મતદારોની સંખ્યા 4,42,564 છે. જિલ્લામાં કુલ 426 મતદાનમથકોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જે પૈકી 101 મથકો સંવેદનશીલ છે. કુલ 58 ઝોનલ રૂટ નક્કી થયા છે જેમાં 69 અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
કલેક્ટરએ વધુ વિગતો આપતાં કહ્યું કે, કુલ 2,244 અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીફરજો સોંપવામાં આવી છે. 6 મતગણતરી કેન્દ્રો ખાતે કુલ 340 સ્ટાફને ફરજો સોંપવામાં આવી છે. મતગણતરીઓ 25મી જૂન બુધવારે છે. મતદાનમથક, સ્ટ્રોંગરૂમ અને મતગણતરીઓ માટેના કેન્દ્રો પર કુલ 1,915 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ મૂકવામાં આવશે. મતદાનના દિવસે રવિવારે ચૂંટણીઓ અંગેની ફરિયાદો માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેના ફોન નંબર 0288-2541960 છે. આ પત્રકાર પરિષદમાં SP પ્રેમસુખ ડેલુએ કાયદો અને વ્યવસ્થાઓની સ્થિતિઓ સંબંધે ચૂંટણીઓ માટે પોલીસ ફોર્સની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તે અંગે વિગતો આપી હતી. એમણે કહ્યું કે, ચૂંટણીઓ થનાર છે એ તમામ ગામોમાં QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ ગોઠવવામાં આવશે.
-25મી એ આ 6 સ્થળો પર મતગણતરીઓ થશે..
જામનગર તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરીઓ ડીકેવી કોલેજ બિલ્ડીંગમાં, કાલાવડની મતગણતરીઓ જેપીએસ સ્કૂલમાં, લાલપુરની મતગણતરીઓ સરકારી કોલેજમાં, જામજોધપુરની મતગણતરીઓ એવીડીએસ કોલેજમાં, ધ્રોલની મતગણતરીઓ હરધ્રોળ હાઈસ્કૂલ ખાતે તથા જોડિયાની ગ્રામ પંચાયતોના મતદાનની મતગણતરીઓ ITI ખાતે યોજાશે.