Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકારનો નિયમ એવો છે કે પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય એ અગાઉ પોતાની શાળાની ઇમારત માટે ફાયર NOC મેળવી લેવાનું હોય છે. પરંતુ જામનગરમાં શિક્ષણ વિભાગ હેઠળ આ બાબતે બધું જ લઘરવઘર સ્થિતિઓમાં છે અને તેના કારણે સેંકડો શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર છે. ફાયર NOC ન ધરાવતી આવી કોઈ ઈમારતમાં, ધારો કે આગનો બનાવ બની જાય તો જવાબદારીઓ કોની ?! એ પ્રશ્ન સામે આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજે 9 જૂનથી શાળાઓમાં વેકેશન પૂર્ણ થયું છે. શાળા પ્રવેશોત્સવમાં વ્યસ્ત રહેતાં શિક્ષણ વિભાગે સમગ્ર વેકેશન દરમ્યાન એ બાબતની ચિંતાઓ કરી નથી કે, શાળાઓમાં ફાયર સલામતી સિસ્ટમ લગાવવામાં આવી છે કે નહીં ?! આ સંજોગોમાં કોઈ શૈક્ષણિક સંસ્થામાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો ?!
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતાના જણાવ્યા અનુસાર, આજની તારીખે જિલ્લામાં 37 શાળાઓ એવી છે જેણે હજુ સુધી ફાયર NOC મેળવવાની દરકાર લીધી નથી. અને, તંત્રએ અગાઉ જાહેરાત કરી હતી કે, ફાયર NOC ન ધરાવતી શાળાઓ વેકેશન પૂર્ણ થયે શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકશે નહીં.શિક્ષણ વિભાગ આ બાબતે ફીંફા ખાંડે છે કે આંખ આડા કાન કરે છે તે સવાલ છે.
જો કે તંત્રની આ ચીમકી માત્ર કાગળ પર જ રહી છે. ફાયર NOC ન ધરાવતી શાળાઓમાં પણ આજે શાળા પ્રવેશોત્સવ ઉજવાયા ! જે દર્શાવે છે કે, આ ઉત્સવપ્રિય શાસનને નિયમોના પાલનમાં રસ નથી. સૂત્રના જણાવ્યા અનુસાર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તો વધુ લાલિયાવાડીઓ ચાલી રહી છે. આ વિભાગે તો હજુ એ લિસ્ટ જ નથી બનાવ્યું કે, આ શાળાઓ પૈકી કઈ કઈ શાળાઓ પાસે ફાયર NOC છે. ટૂંકમાં, જામનગરનો શિક્ષણ વિભાગ શાળાઓના સંચાલકો પાસે નિયમોનું પાલન કરાવવા બાબતે પરિણામલક્ષી કાર્યવાહીઓ કે કામગીરીઓ કરી શક્યો નથી. સૌ શાળા પ્રવેશોત્સવમાં ‘મોઢા મીઠાં’ કરવામાં રોકાયેલા છે.