Mysamachar.in-ભાવનગર:
ભાવનગર સહિત રાજ્યના પોલીસવિભાગ માટે આજનો દિવસ ભારે શોકમય છે, કારણ કે ભાવનગર પોલીસના એ 4 જવાનોના માર્ગ અકસ્માતમાં મોત નીપજયા છે, જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક ગતરાતના રાત્રે 2 વાગ્યાની આસપાસ ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા છે જ્યારે એક આરોપીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર પોલીસના 4 જવાન શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ, ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા, ઇરફાનભાઇ આગવાન, મનુસુખભાઈ બાલધિયા હરિયાણાથી આરોપીને લઇને પરત ફરી રહ્યા હતા એ સમયે જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 4 પોલીસ જવાન શહીદ થયાની જાણ થતાં ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસકર્મીઓની કાર જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ચાર પોલીસ જવાન શહીદ થયા છે.અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો બચાવકાર્ય કરવા માટે ઊભા રહ્યા હતા અને સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસકર્મીઓનાં મૃત્યુ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું છે.