Mysamachar.in-જામનગર:
જામનગરમાં ટ્રાફિક નિયમન અને નિયંત્રણ એવો વિષય રહ્યો છે- જેને કોઈ જ સત્તાવાળાઓ કયારેય ‘ટચ’ કરતાં નથી. ટ્રાફિકનો મુદ્દો જાણે કે પોલીસવિભાગમાં આવતો જ ન હોય તેવી ઉદાસીન સ્થિતિઓ જોવા મળી રહી છે, જેને કારણે રોજ અને આખો દિવસ હજારો વાહનચાલકો શહેરના વિવિધ વિસ્તારોમાં હાલાકીઓ વેઠી રહ્યા છે.
જામનગરમાં થોડા થોડા સમયે IGની અને એ ઉપરાંત જિલ્લાકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાતી રહે છે. આ પ્રકારની એકેય કોન્ફરન્સ બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાઓ સંબંધે, કોઈ કાંઈ બોલ્યું હોય અથવા આવી કોન્ફરન્સ બાદ કયારેય ટ્રાફિક નિયમન સંબંધે કોઈ અસરકારક કે પરિણામલક્ષી કામગીરીઓ કે કાર્યવાહીઓ શહેરમાં થઈ હોય- એવું એકપણ નગરજનની જાણમાં નથી.
શહેરના ટ્રાફિક જંગલરાજને જોઈને તથા આ હાલાકીઓમાં ફસાઈ જતાં હજારો નગરજનો ચર્ચાઓમાં એમ પણ પૂછતા હોય છે કે, શહેરનું ટ્રાફિક નિયમન સરકારના ક્યા વિભાગનું કામ છે ? ટ્રાફિક શાખા શહેર પોલીસનો વિષય છે કે કેમ ?! શહેરના એક પણ ટ્રાફિક જંકશન પર એક પણ ટ્રાફિક પોલીસકર્મી દેખાતો નથી ! જ્યારે કોઈ ટ્રાફિક જંકશન પર ધારો કે કોઈ ટ્રાફિક પોલીસકર્મી ‘હાજર’ હોય તો પણ એ ટ્રાફિક નિયમન સિવાયની કોઈ કામગીરીઓમાં વ્યસ્ત હોય છે !
દરેક ટ્રાફિક જંકશન પર પોલીસ વિભાગના ‘છોકરાવ’ નજરે ચડે છે, એમને ટ્રાફિક નિયમનમાં રસ નથી. એમની ‘મોબાઈલ પ્રવૃત્તિઓ’ સતત ચાલુ હોય છે અને દિવસમાં અનેકવખત જ્યારે ટ્રાફિક જંકશનો પર ભારે ટ્રાફિક જામ થાય છે ત્યારે, આ ‘છોકરાવ’ ટૂંકા પડે છે. કારણ કે તેઓ તાલીમબદ્ધ નથી અને તેમના પર રેગ્યુલર ટ્રાફિક પોલીસકર્મીઓ કે ટ્રાફિક પોલીસ વિભાગના એક પણ અધિકારીનું સુપરવિઝન નથી !
શહેરમાં લાલ બંગલા, તુલસી હોટેલ, જિલ્લા પંચાયત તરફ જતો રોડ, બેડી નાકે સ્વામિનારાયણ મંદિર નજીકનો રોડ- આ પ્રકારના એક પણ વન-વે નો અમલ તંત્ર કરાવતું નથી. જેને કારણે હજારો વાહનચાલકો હાલાકીઓ ભોગવી રહ્યા છે. નાનામોટા અકસ્માતો પણ થતાં રહે છે. થોડા થોડા સમયે અમુક કલાક માટે લીમડા લાઈન તુલસી હોટેલ નજીક ચેકિંગના નાટક થાય. એ પણ લોકો જૂએ છે. એ સિવાયના સમયમાં જંગલરાજ !
આ ઉપરાંત ટ્રાફિક ડ્રાઇવ, અને નાઈટ ટ્રાફિક ડ્રાઇવ શહેરમાં ખાસ રીતે ‘ચમકે’ એ માટે તંત્ર ખૂબ જ કાળજી રાખે છે. વ્યવસ્થિત ફોટોસેશન થાય છે. પરંતુ તંત્ર એ જાણીજોઈને ભૂલી જાય છે કે, શહેરમાં ચોવીસ કલાક ટ્રાફિક નિયમન અને નિયંત્રણ પોલીસની, ટ્રાફિક પોલીસની ફરજ છે. !
-શહેરમાં આટલાં ટ્રાફિક પોઈન્ટ અતિ જોખમી…
શહેરમાં જૂની દિપક ટોકીઝથી ગ્રેઈન માર્કેટ તરફ જતાં રસ્તા પરનો વળાંક, ત્રણ દરવાજા રોડ અને કે.વી.રોડ તથા રાજકોટ રોડને જોડતું જંકશન, નાગનાથ નાકા, બેડીનાકા, હવાઈ ચોક, પવનચકકી, અંબર ચાર રસ્તા, ગુરૂદ્વારા ચાર રસ્તા, જિલ્લા પંચાયત નજીક, મેડિકલ કોલેજ જંકશન, હિંમતનગર નજીક મુખ્ય જંકશન, બેડી બંદર રોડ પર ક્રોસ રોડ નજીકનું ટ્રાફિક જંકશન, જોલી બંગલા નજીકનું જંકશન, જનતા ફાટક, ખોડિયાર કોલોની વિસ્તાર- વગેરે એવા વિસ્તારો છે જ્યાં વાહનચાલકો ફફડતા ફફડતા વાહનો ચલાવતા હોય છે, અકસ્માતો પણ થાય છે, આ બધાં વિસ્તારોમાં બેફામ વાહન ચલાવનારાઓ પર પોલીસનું કોઈ નિયંત્રણ નથી. અને પોતે મહાનગર હોવાનો ફાંકો ધરાવતા આ શહેરમાં કયાંય પણ ટ્રાફિક સિગ્નલ કાર્યરત નથી !!(presentation image)