Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના સ્મશાન નજીકના સ્વામીનારાયણનગરથી શરૂ કરીને વાયા નવાગામ ઘેડ થઈ છેક ગાંધીનગર વિસ્તાર સુધી અમારે વિકાસયોજના (ડીપી) અંતર્ગત મોટો રોડ બનાવવો છે, એવી વાતો મહાનગરપાલિકા છેલ્લા 24 વર્ષથી કરી રહી છે, વાતો મુજબ કામ કરી શકતી નથી. ફરી એક વખત ડીપી કપાત કરતાં અગાઉ આગામી દિવસોમાં સુનાવણી યોજવાની જાહેરાત કરી છે અને કપાતમાં આવતી મિલકતોના ધારકોને આ જાહેર સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખરેખર તો રસ્તો એ વિકાસ કાર્ય છે તેના માટે હકીકતો આધારિત યોજના બનાવી વહીવટી કામગીરીઓ નિયત સમયમાં પૂર્ણ કરી લેવાની હોય, તો વિકાસયોજનાના લાભો નાગરિકોને મળી શકે. પરંતુ આ ડીપી રોડના આખા મુદ્દાને રાજકીય ટચ આપી દેવામાં આવ્યો છે. જો કે, એ પણ હકીકત છે કે, મહાનગરપાલિકાએ ડીપી ના ઘણાં કામો આ જ રીતે વર્ષોથી કર્યા નથી.
નવાગામ ઘેડમાંથી પસાર થનારો આ રોડ આમ તો મુળભૂત પ્લાન મુજબ 30 મીટર પહોળો બનાવવાનો હતો. પરંતુ મહાનગરપાલિકાએ આ વિકાસયોજના સંકોચી નાંખી ! કોર્પોરેશન 12 મીટર જ પહોળો રોડ બનાવવા ચાહે છે. અગાઉ પણ નોટિસો અપાયેલી. મામલો વડી અદાલતમાં પણ પહોંચી ગયો હતો. પછી અરજી પાછી પણ ખેંચાઈ ગઈ હતી. મામલાને રહસ્યમય રીતે કોઈએ ઠંડો પણ પાડી દીધો હતો. ફરી ચૂલો ફૂંકવામાં આવ્યો.
મહાનગરપાલિકાએ 331 આસામીઓને નોટિસ મોકલી. તા. 23 થી 25 દરમિયાન, કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ સભાખંડ ખાતે જાહેર સુનાવણીમાં અસરગ્રસ્તોને બોલાવ્યા છે. ફરી લોકોને સાંભળવામાં આવશે. આ તકે કમિશનર, સિટી ઈજનેર અને ટીપીડીપી વિભાગના ઈજનેર ઉપસ્થિત રહેશે.(symbolic image)