Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો અને કાર્યકરોને એ ચિંતા સતાવી રહી છે કે, આ ચૂંટણીમાં પણ મતદારો NOTA તરફ વધુ ઝૂકાવ દર્શાવશે તો?! સર્વત્ર આ ફફડાટ એટલાં માટે છે કેમ કે ગત્ વિધાનસભા ચૂંટણીમાં NOTA ‘ ત્રીજો ‘ ઉમેદવાર પૂરવાર થયો હતો. NOTA માં ચિક્કાર મતો પડ્યા હતાં. લાખો મતદારો એવા હોય છે, જેઓને એક પણ ઉમેદવાર ગમતો હોતો નથી. અથવા, ગમતી હોતી નથી. આવાં મતદારો રાજકીય પક્ષો અને ઉમેદવારોને આંચકો આપવા NOTA પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતાં હોય છે. મતદારોની આ નારાજગી ઘણાં મહાનુભાવો માટે બોધપાઠ પૂરવાર થવા તરફ આગળ વધી રહી છે ! હાલની ચૂંટણીમાં શું થશે?! આ પ્રશ્ન ઘણાનાં દિલોમાં ડર પેદાં કરી રહ્યો છે. આ વખતે ગત્ ચૂંટણી કરતાં પણ વધુ મતો NOTA માં પડશે ?! કે, મતદારો ત્રિપાંખિયા જંગમાં વહેંચાઈ જશે ? આઠમી ડિસેમ્બરે બધી જ ખબર પડી જશે.
ઉમેદવારો તથા પાર્ટી પ્રત્યે અણગમો અથવા નારાજગી દર્શાવવા અસંખ્ય મતદારો NOTA વિકલ્પ પસંદ કરતાં હોય છે. ગુજરાતી ભાષામાં કહીએ તો, મતદારો એવું કહેવા ઇચ્છતા હોય છે કે તમે બધાં જ એક જ ડોશીના સંતાનો છો ! અમે તમને બધાંને ‘ સારી રીતે ‘ ઓળખીએ છીએ ! અમો તમને ધિકકારીએ છીએ. તમે સૌ અમારા માટે નકામા છો. અમે તમને કોઈને નહીં, NOTA ને પ્રેમ કરીએ છીએ.ગત્ વિધાનસભા ચૂંટણીમાં, 2017 માં ભાજપા અને કોન્ગ્રેસ તથા અન્ય પક્ષો અને અપક્ષો પૈકી કોઈ એકને પસંદ કરવાની મતદાન પ્રક્રિયામાં ત્રીજાં ક્રમે સૌથી વધુ મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો ! કુલ મતદારો પૈકી 1.8 ટકા મતદારો એટલે કે, 5.5 લાખ મતદારોએ NOTA પસંદ કરી, બધાં જ ઉમેદવારોને ‘ રિજેક્ટ ‘ કરી, પોતાની નારાજગી જાહેર કરી દેતાં, તમામ પક્ષો તથા અપક્ષોનાં રૂંવાડા ઉભા થઈ ગયા હતાં. આ ચૂંટણીમાં શું થાય છે ? તે જોવું રસપ્રદ બનશે, ઈંતજાર કરીએ આઠમી ડિસેમ્બરનો