Mysamachar.in-કલ્યાણપૂર:
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સંસદીય ક્ષેત્રના જે વિસ્તારોમાં પ્રચારઅર્થે જાય છે ત્યાં જંગી જનમેદની પૂનમબેનના સમર્થનમાં ઉમટી પડે છે,ત્યારે ગઇકાલે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ચૂંટણી પ્રચાર માટે કલ્યાણપુર તાલુકાનાં ભાટીયા ખાતે પહોંચ્યા હતા,

પૂનમબેન માડમ ગામમાં પહોચતાની સાથે તાલુકાનાં ધાર્મિક, સામાજીક, શૈક્ષણીક સંસ્થાઓના પ્રમુખો, આગેવાનો, વડીલો અને સ્થાનિકો દ્વારા પૂનમબેનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાટીયા ગામની મેઇન બજારમાં જંગી માનવ મહેરામણ જોવા મળ્યું હતું, જે બાદ જંગી જાહેર સભામાં પણ વેપારીઓ અને આગેવાનો દ્વારા પૂનમબેનનું વાજતે ગાજતે સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો, ભાટીયા મુકામે યોજાયેલ સભામાં આસપાસના તમામ ગામના આગેવાનો અને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા,ભાટીયા ખાતે યોજાયેલ જાહેરસભામાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણજારીયાએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો અંગે લોકોને વાકેફ કર્યા હતા અને પોતપોતાના વિસ્તારમાં ભાજપ તરફી પ્રવાહ રહે તેવી અપીલ પણ કરી, તો કલ્યાણપૂર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ જગાભાઈ ચાવડાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ ખેડૂતોને ખોટી રીતે ભરમાવતી હોવાનું અને સમજદાર લોકો કોંગ્રેસની વાતોમાં નહીં આવે અને ખેડૂતોના હિતમાં રહેતી ભાજપ સરકારને કેન્દ્રમાં સત્તારૂઢ કરવા પણ હાંકલ કરી હતી,

બારાડી લોહાણા મહાજનના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચૂરા(મોટાભાઇ)એ પૂનમબેનને સોળવલુ સોટચ સોના જેવા ગણાવીને જે 5 વર્ષ પૂર્વે અહીથી જંગી લીડથી ચૂંટીને મોકલ્યા હતા તે હજી પણ સોળવલા સોના જેવા જ છે અને તેમની વિવિધ સેવાકીય પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને ભાજપને જ મતદાન કરવા પણ અપીલ કરી હતી,

જ્યારે દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના શિવભક્ત-ગૌભક્ત ધારાસભ્ય પબુભા માણેકે શિવ શિવના નારા સાથે કોંગ્રેસની ખોટી નીતિરીતિ અને લોભામણા વચનો-પ્રલોભનો તેમજ કોંગ્રેસના ચીઠીના ચાકર એવા પૂર્વ વડાપ્રધાનના ધીમા ગણગણાટની રમુજની વાત કરી અને ભારત દેશના 56 ઇંચની છાતી વાળા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કેન્દ્રમાં ફરી વખત ભાજપની સરકાર બને અને આતંકવાદીઓના તમામે-તમામ આકાઓનો ખાતમો આગામી દિવસોમાં થાય અને દેશ કાયમી માટે આતંકવાદીઓની વારંવારની પરેશાનીમાંથી કાયમી મુક્ત થાય અને સલામત સુરક્ષિત દેશ બને તે માટે પૂનમબેન માડમને ચૂંટી કાઢવા દરેક સમાજને પબુભા માણેકે હાકલ કરી હતી,લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે “આ ચૂંટણીમાં હું ઉમેદવાર નથી તમે બધા ઉમેદવાર છો.” તેમ કહીને જણાવ્યુ કે આપણે લોકસભાની ચૂંટણી લડીએ છીએ જ્યારે સામો પક્ષ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને માર્કેટિંગ યાર્ડોની ચૂંટણી લડી રહ્યું છે અને કોંગ્રેસને છેલ્લી ઘડી સુધી ઉમેદવાર ન મળતા રહી-રહીને ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. જેને પોતાનો પરિચય કરાવવામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. તેમ પૂનમબેન માડમે જણાવ્યુ,

વધુમાં તેઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ લોકો સમક્ષ મૂકી હતી અને ઉપસ્થિત લોકોને આ પંથકની દીકરી તરીકે જે રીતે ભૂતકાળમાં પણ સાથ સહકાર આપ્યો છે, તેમ આ ચૂંટણીમાં પણ તેવો જ સાથ સહકાર આપવા કહ્યું અને લોકોના વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દે તેવું વચન પણ જાહેર મંચ પરથી પૂનમબેને આપ્યું હતું,

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કલ્યાણપુર તાલુકા ભાટીયા વિસ્તારને પૂનમબેન માડમના અથાગ પ્રયાસોથી બે-બે લાંબા અંતરની ટ્રેનના સ્ટોપ અને ભાટીયાના અતિમહત્વના કહી શકાય તેવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરાંત આ ક્ષેત્રમાં કેટલાય વિકાસના કામો માટે પૂનમબેન માડમે ગ્રાન્ટો ફાળવી અને વિસ્તારના વિકાસમાં સિંહફાળો આપ્યો છે,ભાટીયા ખાતે યોજાયેલ જાહેર સભામાં જિલ્લા અને તાલુકાનાં આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,જેમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચૂરા(મોટાભાઇ), જિલ્લા ભાજપ પ્રમુખ કારૂભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણજારીયા, કલ્યાણપુર તાલુકા સતવારા સમાજના આગેવાન ડી.એલ.પરમાર, વિઠ્ઠલભાઈ સોનગરા, આહીર સમાજના આગેવાન પરબતભાઈ ગોજીયા, ભાટીયા ગામના સરપંચના પ્રતિનિધિ ખીમાભાઈ ચાવડા, તાલુકા ભાજપના લલિતભાઈ, પરબતભાઈ વરૂ, ટપૂભાઈ સોનગરા, ગઢવી સમાજના અગ્રણી રામભાઇ, મયુરભાઈ,ભાટીયાના પૂર્વ સરપંચ નુંઘાભાઈ કરંગીયા, ઉપસરપંચ બાબુભાઇ ગોજીયા,આગેવાનો હરીભાઇ નકુમ, રતનસીભાઈ કણજારીયા, ઇનુસભાઈ ખીરા, કિશોરભાઈ દત્તાણી, નટુભાઈ સોની, પ્રફુલભાઈ ભાયાણી,દેવાણદભાઈ કાંબરીયા,કિરણભાઈ કાંબરીયા,સગાભાઈ રાવલીયા, ઈશ્વરપૂરી ગોસાઇ, કિશોરભાઇ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા,રામભાઇ મેર, ભાટીયા પંથકના સામાજિક ક્ષેત્રના આગેવાન નિલેશભાઈ કાનાણી, કલ્યાણરાજી મંદીરના પૂજારી બિપિનભાઈ દવે સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા,

ભાટીયામાં જાહેરસભા પહેલા પૂનમબેન માડમે કલ્યાણપુર તાલુકાનાં ગામડાઑ ગઢકા, ટીટોડી, ભોપાલકા, ખાખરડા, કેનેડી, બાંકોડી, હડમતીયા, ઉપાદયા,ગણેશ ગઢ, નારણપુર, કેશવપુર, માલેતા,નાવદ્રા, સતાપર, ગોનુનેશ, ભારવડીયા, ગોકલપર, બામણશા, પીંડારા, ગાગા ગુરગઢ,રણનુતપૂર,નંદાણા, મહાદેવીયા, જુવાનપુર,આસોટા, મેવાસા, વીરપર, મણીપુર, હાબરડી વગેરે ગામડાઓમા બેનનુ ભવ્ય સ્વાગત સન્માન પણ કરાયું હતું.
