Mysamachar.in-જામનગર:
નદી શહેરની હોય, માલિકી કોર્પોરેશનની હોય અને આ નદી પર કોઈ પણ વ્યક્તિ પોતાના ખર્ચે બ્રિજ બનાવી પોતાનો અંગત બિઝનેસ ડેવલપ કરી શકે છે- જામનગર મહાનગરપાલિકાએ આ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે, જેને PPP મોડેલ નામ આપી દેવામાં આવ્યું છે.
જામનગરની નદી પર અત્યાર સુધીમાં આ રીતે 2 બ્રિજ બની ચૂક્યા છે. આ રીતે ત્રીજો બ્રિજ બનાવવા કોર્પોરેશન થનગની રહ્યું છે. આ પ્રકારના બ્રિજ બનાવવાની કામગીરીઓ કોર્પોરેશન કરી આપે છે પરંતુ બ્રિજનો તમામ ખર્ચ કોઈ ખાનગી વ્યક્તિ ‘દાતા’ તરીકે આપે છે. આ વ્યવસ્થા કોર્પોરેશનને ખૂબ જ અનુકૂળ છે કેમ કે, આ રીતે ‘મફત’માં બ્રિજ બનાવી તેને શહેરના’વિકાસ’માં ગણાવી ખુદની પીઠ થાબડી લ્યે છે. કોર્પોરેશનના તંત્ર તથા શાસકોને આ PPP મોડેલમાં ‘મજા’ મળી રહી છે.
જામનગર મહાનગરપાલિકાએ આ વધુ એક નવો ‘ધંધો’ ઉર્ફે અભિગમ શરૂ કર્યો હોય, શહેરમાં ચર્ચાઓ એ છે કે, શહેરની નદી પર કોર્પોરેશન હસ્તક બ્રિજ બનાવવા માટે ‘ખાનગી’ વ્યક્તિઓ આટલો બધો ઉત્સાહ શા માટે દેખાડી રહ્યા છે ?! જામનગર અને નદી પ્રત્યે, ખાનગી પાર્ટીઓને આટલો બધો પ્રેમ શા માટે ઉભરાઈ રહ્યો છે ?! કોઈ પોતાની મહેનતના કરોડો રૂપિયા આ રીતે બ્રિજ બનાવવા પાછળ શા માટે ખર્ચ કરી રહ્યું છે ?! શહેરમાં ચાલતી આ ચર્ચાઓમાં હકીકત ડોકાય રહી છે.
લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, કોર્પોરેશને કરવાનું કામ જો કોઈ અ,બ,ક,ડ નામની ખાનગી વ્યક્તિઓ પોતાના નાણાંથી કરી આપતી હોય તો, સ્વાભાવિક છે કે- એ ખાનગી પાર્ટીઓને આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટથી દસ-વીસ-પચાસ કે સો ગણો ‘ફાયદો’ થતો હોય તો જ કોઈ પણ બિઝનેસમેન આવા પ્રોજેક્ટમાં ‘રોકાણ’ કરે. આમ આ સમગ્ર કોન્સેપ્ટ શહેરમાં ચર્ચાઓમાં છે. અને, લોકો તો એ પણ શંકાઓ કરી રહ્યા છે કે- આ પ્રકારની પાર્ટીઓ તૈયાર કરવા માટે તંત્ર અને શાસકો કેટલી ‘મહેનત’ કરી રહ્યા છે, આ મહેનત અમથી અમથી થઈ રહી હશે ??
-વિપક્ષના નેતા આ બ્રિજના કામ સંબંધે શું કહી રહ્યા છે ??…
જામનગરમાં ધોરીવાવ વિસ્તાર નજીક બનનારા આ બ્રિજ સંબંધે હવે વિપક્ષના નેતા ધવલ નંદાએ કમિશનરને પત્ર લખ્યો. પત્રમાં એમ પણ કહેવાયું છે કે, આ બ્રિજથી સર્વે નંબર 925, 926, 927 અને 920ને ‘ફાયદો’ થાય છે. જનરલ બોર્ડમાં આ બ્રિજ ભલે મંજૂર થઈ ગયો, કમિશનરે આ બ્રિજને વહીવટી મંજૂરી ના આપવી જોઈએ.કારણ કે ત્યાં હાલ એક રસ્તો છે તો બ્રીજ નું શું જરૂર..?