Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા સંખ્યાબંધ લોકો માટે વર્ષોથી દૂઝણી ગાય પૂરવાર થઈ રહી છે, ઘણાં લોકો માટે તો કોર્પોરેશન ‘કામધેનુ’ પણ છે અને, આ વાતથી શહેરમાં કોઈ જ અજાણ નથી. જામનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી હસ્તક પ્રત્યેક બેઠકમાં સંખ્યાબંધ કામો પર વિકાસ અને સુવિધાઓના નામે મ્હોર લગાવવામાં આવતી રહે છે અને લાખ્ખો-કરોડોનાં ખર્ચાઓ મંજૂર કરવામાં આવ્યા છે, એવું હોંશેહોંશે જાહેર કરવામાં આવે છે. આ હોંશ પાછળની કેટલીક હકીકતો પ્રજાદ્રોહ લેખી શકાય એટલી હદે વિવાદાસ્પદ હોય છે, આમ છતાં કોર્પોરેશનમાં ક્યારેય મોટી અને પરિણામલક્ષી બઘડાટી બોલતી ન હોય, વિપક્ષ પણ કાયમ જાણકારોના સ્કેનર હેઠળ જ રહે છે !
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સિમેન્ટ માર્ગો અને સિમેન્ટ બ્લોક સહિતના કરોડો રૂપિયાના કામો, કમિશ્નરની દરખાસ્ત મુજબ, ધડાધડ મંજૂર થતાં રહે છે. બિલો બનતાં રહે છે અને ચૂકવણા થતાં રહેતાં હોય છે. બધું જ સ્મૂથ રીતે ચાલતું રહે છે.અત્યંત વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોર્પોરેશનનાં વિવિધ કામોમાં કોન્ટ્રાકટર એજન્સીઓ રિંગ કરવામાં માહિર હોય છે. એક કામમાં એક પાર્ટી નીચો ભાવ ભરે, બીજાં કામમાં બીજી પાર્ટી નીચો ભાવ ભરે. આમ દરેક પાર્ટીને નીચા ભાવની આડશે કામોની વહેંચણી કરી આપવામાં આવે. સૌને રોજગારી મળી રહે.
નવાઈની વાત એ છે કે, કોર્પોરેશન દ્વારા સંબંધિત કામો માટે જે તે સમયે જે એસ્ટીમેટ બનાવવામાં આવે છે તે ઉંચા બનાવવામાં આવે અને ૨૦-૩૦ ટકા નીચા ભાવે પાર્ટી સંબંધિત કોન્ટ્રાક્ટ હાથવગો કરી લ્યે, સ્ટેન્ડિંગ કમિટીની કાર્યવાહીમાં કાગળ પર એમ લખવામાં આવે કે, મહાનગરપાલિકાનાં આર્થિક હિતને ધ્યાનમાં રાખી સૌથી નીચાં આવેલાં ભાવને વ્યાજબી લેખી “એવોર્ડ ગોઝ ટુ” નું ગીત ગાઈ લેવામાં આવે છે ! નીચા ભાવે કોન્ટ્રાકટર એજન્સીઓને કામો કરવા પોસાય છે તે પણ ઓપન સિક્રેટ છે ! અને, કામોની ગુણવત્તા ભોજિયોભાઈ પણ તપાસતો નથી, એ મુદ્દો પણ સૌ જાણે છે.
આ ઉપરાંત જાણકારોના કહેવા પ્રમાણે, એક લાઈન એ પણ ચલાવવામાં આવે છે કે – ચોક્કસ કામો માટે ચોક્કસ કક્ષાએથી, ચોક્કસ સમયે, ચોક્કસ શરતો સાથે, પાછલાં બારણે કોન્ટ્રાકટર એજન્સીઓને સંબંધિત કામોમાં ” વધારાનાં ખર્ચ” ફટાફટ મંજૂર કરી આપવામાં આવે છે અને એ રીતે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ કરવામાં આવે છે. અંતે, આ બધી જ નુકસાની સહન કરે છે કરદાતા પ્રજાની તિજોરી અને લાગતાં વળગતા સુપોષણ પામતાં રહે છે.
-વિપક્ષની રાડારાડી રિમોટ ઓપરેટેડ હોય છે ?!
કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા આ પ્રકારના કોન્ટ્રાક્ટનાં કામો સહિતનાં મુદે, ચોક્કસ થિયરી મુજબ મર્યાદિત ઓવરની રાડારાડી ફેંકવામાં આવતી રહેતી હોય છે પછી, ગોલંદાજો ટાઢા પડી જતાં હોય છે ! લડાઈને પરિણામ સુધી ન પહોંચાડવી એ પણ વિપક્ષની વ્યૂહરચનાનો એક ભાગ હોય એવું નગરજનો વર્ષોથી માની રહ્યા છે. વિપક્ષે લોકોની આ માન્યતા વર્ષોથી બરકરાર રાખી છે, તૂટવા નથી દીધી કારણ કે, શાસકો એવું ક્યારેય ન ઇચ્છે, એ સમજી શકાય તેવી બાબત છે !