Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસ વિભાગ ચર્ચાઓની એરણે ચઢ્યો છે, અને ચર્ચાનું કારણ એટલે છે કે એક માસ પણ નથી થયો કે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથક હેઠળના ખંભાળિયા ગેટ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા બાદ પણ લાંચિયા પોલીસકર્મીઓની હિમ્મત એવી ની એવી છે તેવું પુરાવાર કરતો વધુ એક કિસ્સો ગતરાત્રીના એસીબીએ કરેલ વધુ ટ્રેપને સામે આવ્યો છે, જેમાં પી.એસ.આઈ.અને રાઈટર વતી કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યા બાદ એસીબીએ ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે,
આ અંગે એસીબીએ જાહેર કરેલ વિગતો એવી છે કે આ કેસના ફરીયાદી વિરૂધ્ધ જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ મથક હેઠળની ઉધોગનગર પોલીસ ચોકીમાં અગાઉ ચીટીંગ અંગેની અરજી થયેલ હતી. ભવિષ્યમાં હવે કોઇ અરજી આવશે તો જાણ કરવા અને હેરાનગતી નહી થાય તે માટે જામનગર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિ ગોવિદભાઇ શર્માએ ઉદ્યોગનગર ચોકીના પી.એસ.આઈ.આર.ડી.ગોહિલ અને તેના રાઈટર ધમભાઇ બટુકભાઇ મોરીને ને રૂબરૂ મળી કાંઇક વહીવટ કરી દેવાનુ જણાવતા ફરીયાદી ઉદ્યોગનગર ચોકીના રાઈટર ધમભાઈ મોરીને મળતા તેણે ફરીયાદી પાસેથી રૂા.50,000 ની લાંચની માંગણી કરી અને એસઓજી કોન્સ્ટેબલ રવિ શર્માને આપી દેવા જણાવેલ. તેમજ પોલીસ કોન્સ્ટેબલ રવિ શર્માએ ફરીયાદીને પોલીસ ચોકીએ રૂબરૂ બોલાવી પી.એસ.આઈ.આર.ડી.ગોહિલની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી તેના વતી પણ રૂા.50,000 ની લાંચની માંગણી કરેલ તેને પી.એસ.આઈ.આર.ડી.ગોહિલે સહમતી આપેલ હતી
પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે ગતરોજ જામનગર ખાતે સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ ઉપર આવેલ, પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન એસઓજી પોલીસ કોન્સ્ટેબલ રવિ શર્માએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ઉદ્યોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઈ.આર.ડી.ગોહિલ અને પી.એસ.આઈ ધરમ મોરી વતી લાંચની રકમ રૂા.1,00,000 ફરીયાદી પાસે માંગી, સ્વીકારી ગુન્હાહીત ગેરવર્તણુક કરી ત્રણેય આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી બનાવ સ્થળેથી એસઓજીના કોન્સ્ટેબલ રવિ શર્માને ઝડપી પાડવામાં આવેલ જયારે પી.એસ.આઈ. અને તેના રાઈટરની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.