Mysamachar.in-જામનગર:
જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ પરિવાર લાલ પરિવારની ફલેગશિપ કંપની શ્રીજી ગ્રુપની શ્રીજી શીપીંગ ગ્લોબલે ‘સેબી’માંથી IPO લાવવાની મંજૂરીઓ મેળવી છે. આ કંપની રોકાણકારોને શેર ઓફર કરી શકશે. એક અગ્રણી બિઝનેસ ન્યૂઝ ચેનલે આ સમાચાર બ્રેક કરતાં જણાવ્યું છે કે, ફ્રેશ ડેવલપમેન્ટ એ છે કે, ‘સેબી’એ દેશની કુલ 6 કંપનીઓને IPO લાવવા મંજૂરીઓ આપી દીધી છે.
સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)એ જામનગરની શ્રીજી શીપીંગ ગ્લોબલ ઉપરાંત HDB ફાઇનાન્સિયલ, ડોર્ફ કેટલ કેમિકલ, વિક્રમ સોલાર, એ-વન સ્ટીલ ઈન્ડિયા અને શાંતિ ગોલ્ડ ઈન્ટરનેશનલને એમ કુલ 6 કંપનીઓને IPO માટેની મંજૂરીઓ આપી છે.

સૂત્ર અનુસાર, શ્રીજી શિપિંગ કંપની રૂ. 10ની કિંમતનો એક એવા કુલ 2 કરોડ ઈક્વિટી શેર લોકોને ઓપન ઓફર કરી શકશે. આ શેરનું લિસ્ટિંગ NSE અને BSE એમ બંને ટ્રેડ પ્લેટફોર્મ પર થશે. આ IPOમાંથી કંપની જે ભંડોળ પ્રાપ્ત કરશે તે પૈકી રૂ. 289 કરોડની રકમ ડ્રાય બલ્ક કેરિયર મેળવવા ઉપયોગમાં લેવામાં આવશે. અને, રૂ. 19.5 કરોડની રકમ દેણાંની પરત ચૂકવણીઓ માટે થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, નજીકના ભૂતકાળમાં શેરબજારમાં લિસ્ટેડ થઈ હોય એવી જામનગરની આ ત્રીજી કંપની છે. બે વર્ષ અગાઉ એક મસાલા કંપની અને એક શિપિંગ કંપનીએ પણ શેરબજારમાં આ રીતે IPO ના માધ્યમથી પ્રવેશ લીધો હતો. મહત્વનું છે કે શ્રીજી ગ્રુપનો આ IPO બજારમાં આવે તે માટે શ્રીજી ગ્રુપના મોભી અશોકભાઈ લાલ, જીતેન્દ્રભાઈ લાલ, મિતેશભાઈ લાલ, વિરાજભાઈ લાલ અને ક્રિષ્નરાજભાઈ લાલ સહિતની સમગ્ર ટીમ કાર્યરત હતી.(symbolic image)
