Mysamachar.in-જામનગર:
જામનગર વિસ્તાર વિકાસ સતામંડળને ઝોનફેર કરવાની દરખાસ્ત સરકારમા મોકલવાની જોગવાઇઓ છે અહીંથી દરખાસ્ત થયા બાદ સરકારમાંથી મંજૂરીઓ મળતી હોય છે, કોઈપણ શહેરનો ચોતરફ વિકાસ થાય તે આવકાર્ય છે પણ કોઈ એક જ વિસ્તારનો ધડાધડ અને ચોક્કસ મોડસ ઓપરેન્ડી સાથે વિકાસ થાય તે શંકાના દાયરામાં ક્યારેક ક્યારેક આવી જાય જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ અને ઝોનફેર છેલ્લા કેટલાક વર્ષોથી ભારે ચર્ચાઓમાં આવ્યા છે, ચર્ચાઓ એટલે કે બે ઝોનફેર અને કેટલાક દસ્તાવેજ કૌભાંડ બાદ હવે નવો ત્રીજો ઝોનફેર શહેરની તદ્દન નજીકના વિસ્તાર માટે જેટગતિએ આકાર લઇ રહ્યાનું આધારભૂત સુત્રો માહિતી આપતા જણાવે છે,
આધારભૂત સુત્રોનું માનીએ તો જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ એટલે જાડા હેઠળ આવતા કનસુમરા મસીતીયા ગામ નજીક અંદાજે 100 વીઘા જમીન એગ્રીકલ્ચર છે જેના હાલના ભાવ કાઈ બહુ ખાસ નથી તેને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રૂપાંતર કરવા માટે આ જમીનના ખરીદદારો દ્વારા કામ સમુંસુથરું ઉતરી જાય તે માટે એક એજન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તે બે કરોડ જેટલી માતબર રકમ લઈને છું થઇ જતા તેને સૂરતથી પકડી અને માંડ મામલો પૂર્ણ કર્યા બાદ અગાઉ બે ઝોનફેર કરવા માટે મહારથ હાંસલ કરેલ એક જુના અને જાણીતા વ્યક્તિને ગાંધીનગરથી માંડીને જામનગર સુધીની કામગીરી માટેની ફાઈલની સોપણી કરવામાં આવ્યા બાદ ઝોનફેરના નિષ્ણાંત એવા “ટૂંકા કદ”નું નામ ધરાવનારને તમામ સ્તરે “સૌનો સાથ” મળી ચુક્યો હોય છેલ્લે બાકી હતો જામનગરનો વિપક્ષ તો ત્યાં પણ તાજેતરમાં એટલે સપ્તાહ પૂર્વે આ વ્યક્તિએ જામનગરની એક સરકારી ઈમારતમાં વિપક્ષના સભ્યો સાથે બેઠક કરી તેની સાથેની સમજુતી પૂર્ણ કરી જેથી કરીને કોઈ વિવાદો ઉજાગર ન થાય પણ છાનું કેટલુક રહે ભાઈ…?

આગામી થોડા દિવસોમાં હવે જયારે જાડાની બેઠક મળશે તેમાં આ અંગેનો એજન્ડા પણ સમાવેશ થઇ શકે છે તેમ સુત્રો જણાવતા ઉમેરે છે કે આ માટે “સુવ્યસ્થિત સેટિંગ” પણ લગત સૌ માટે પહેલાથી છેલ્લા સુધી કરવામાં આવ્યું છે, (હવે જો બધું બરોબર ચાલે અને કોળીયામાં માખી ના આવી જાય તો બધું કામ ધાર્યું છે તેમ થઇ જશે ) કારણ કે હાલ જે જમીનની કીમત હજારો જેવી કહી શકાય તે ઝોનફેર થતાની સાથે જ લાખોમાં થશે અને જમીન લેનાર ભાગીદારોને વહેચાણને અંતે કરોડોનો ફાયદો થશે તેમાંથી બે પાંચ-પચીસ કરોડ વાપરવા પડે તો શું ફેર પડે તેમ માનીને આગળની ગતિવિધિઓ તેજ ચાલી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં શું થશે તેના પર ચબરાકોની નજર છે.