Mysamachar.in:જામનગર
પિવાનું પાણી એક પ્રકારની મોંઘી જણસ છે. જામનગરમાં નગરજનોને દાયકાઓથી એકાંતરે પાણી આપવામાં આવે છે, બીજી તરફ વાહનોનાં સર્વિસ સ્ટેશનોમાં રાતદિવસ પાણીનો બેફામ વપરાશ થતો હોય છે, છતાં તેઓને ત્યાં પાણી વપરાશ જાણવા મીટર મૂકવામાં આવતાં નથી ! સર્વિસ સ્ટેશનો રાતદિવસ ધમધમતાં હોય છે. તેમાં પાણીનો બેફામ વપરાશ થતો હોય છે. તેઓ મહાનગરપાલિકા પાસેથી જે પાણી મેળવી રહ્યા છે, તે પાણી પેટે ચાર્જ ચૂકવવા તેઓએ સામાન્ય દુકાનો જેવું માત્ર કોમર્શિયલ વોટર કનેક્શન મેળવવાનું હોય છે. સૌ સમજી શકે એવી વાત છે કે, સામાન્ય દુકાનમાં પાણીનો સામાન્ય વપરાશ થતો હોય છે. અને, સર્વિસ સ્ટેશનોમાં રાતદિવસ પાણીનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે.
ખરેખર તો આવાં ધંધાકીય એકમો (હોટેલ સહિત) માં પિવાનું કિંમતી પાણી મીટરથી આપી, દર મહિને તેઓ પાસેથી ચાર્જ વસૂલવો જોઈએ, તો કોર્પોરેશનને પાણીની વાજબી આવક મળી શકે. આ ઉપરાંત આવા ધંધાકીય એકમોમાં ગેરકાયદે નળજોડાણની શકયતાઓ પણ વધુ હોય છે ! છતાં આ દિશામાં ક્યારેય, કોઈ તપાસ થતી નથી, કાર્યવાહી થતી નથી !
આ ઉપરાંત કેટલાંક પાણીનાં ધંધાર્થીઓ પણ ભૂગર્ભજળ ઉપરાંત કોર્પોરેશનનું નળજોડાણ ધરાવતાં હોય તેવી પણ શક્યતા છે. આ પ્રકારના ધંધાર્થીઓ દર મહિને કોર્પોરેશનનું કેટલું પાણી મેળવે છે ? તેનાં બદલામાં કોર્પોરેશનને કેટલો ચાર્જ ચૂકવે છે ? વગેરે બાબતોની તપાસ થવી જરૂરી છે. આ સાથે જ રાતદિવસ ધમધમતી હોટેલો કોર્પોરેશનનાં નળમાંથી દૈનિક અથવા એકાંતરે દિવસે કેટલું પાણી મેળવે છે ? તેનો હિસાબ થવો જરૂરી છે.
એક તરફ પ્રમાણિક કરદાતા નગરજનોને એકાંતરે આપવામાં આવતાં પાણી પરનો વાર્ષિક ચાર્જ સમયાંતરે વધારવામાં આવે અને બીજી બાજુ કોઈ જ માપ વિના ધંધાદારી એકમો સામાન્ય ફી ભરીને રાતદિવસ પાણીનો બેફામ વપરાશ અને ઉપયોગ કરતાં રહે – એ વ્યવસ્થામાં મોડિફિકેશન થવું જોઈએ એવો નગરજનોનો મત છે.