Mysamachar.in-જામનગર:
હાલના સમયમાં લગ્ન, સારૂં પાત્ર અને લગ્ન બાદનું સુખશાંતિમય જિવન- ઘણાં બધાં કિસ્સાઓમાં અઘરૂં અને ઘણી વખત તો અશક્ય બની જતું હોય છે. લગ્નના ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના ગુનાઓ બનતાં રહે છે. આવી વધુ એક પોલીસ ફરિયાદ જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે.

જામનગરના બેડી વિસ્તારમાં રહેતાં અને શહેરના લીંડીબજાર, બર્ધનચોક વિસ્તારમાં જામનગરના એક દલાલના સંપર્કમાં આવેલા અને લગ્નના નામે ‘શીશામાં ઉતરી’ ગયેલા 39 વર્ષના ખીમજી બુધાભાઈ મકવાણાએ, પોલીસમાં એવી ફરિયાદ દાખલ કરાવી છે કે, આ ફરિયાદી જામનગરના લાલખાણમાં રહેતાં યુનુસ ગની મનસુરી અને કાલાવડની મુમતાઝ અઝીઝ ગોધાવિયાના સંપર્કમાં આવેલા. ફરિયાદી લગ્ન કરવા ઈચ્છતા હતાં, આ અંગે યુનુસ તથા મુમતાઝ સાથે વાતચીત થયા બાદ આ બંને આરોપીઓએ ફરિયાદીની મુલાકાત રોહિણી નામની મહારાષ્ટ્રીયન મહિલા સાથે કરાવી.

ફરિયાદીએ રોહિણી સાથે લગ્ન કરવા માટે યુનુસ અને મુમતાઝ સાથે વાતચીત કરી અને લગ્ન થઈ પણ ગયા. ફરિયાદીએ ગોઠવણના ભાગરૂપે રૂ. 1.80 લાખ આપ્યા. રોહિણી આ ફરિયાદી સાથે એક દિવસ રહી અને બીજે દિવસે અદ્રશ્ય થઈ ગઈ ! ફરિયાદીને ખબર પડી ગઈ કે, આ તો લૂટેરી દુલ્હન ! ફરિયાદીએ આ લગ્ન માટે યુનુસ અને મુમતાઝને 15-15 હજાર આપ્યા હતાં. બાકીના રૂ. દોઢ લાખ રોહિણીને આપ્યા હતાં- એમ ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દલાલોની મદદગારીથી લુટેરી દુલ્હનના બનાવો અવારનવાર બનતા રહે છે અને જાહેર પણ થતાં રહે છે. આમ છતાં આ પ્રકારના બનાવો અટકવાનું નામ લેતાં નથી !(symbolic image)
