Mysamachar.in-દાહોદ:
ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે, પણ આ જ કુંભમેળામાંથી પરત ફરતી વખતે ગુજરાતી પરિવારોને અકસ્માત નડ્યો છે અને 4 લોકોના મોત આ ગમખ્વાર અકસ્માતમાં થતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે, અકસ્માત એટલો ગંભીર હતો કે ટકરાયેલ વાહનોનો કડુસલો બોલી ગયો હતો, આ ગંભીર અકસ્માતની જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે
દાહોદ જીલ્લાના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.
