Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા હસ્તક શહેરમાં અનેક વિકાસકામો ચાલુ છે, અને કેટલાય એવા કામો કે લાખોટા મ્યુઝીયમ, ખંભાળિયા ગેટ, તળાવની પાળ સહિતના મહત્વના પ્રોજેક્ટો પૂર્ણ થઇ ચુક્યા છે, અને આ કામો શહેરની શોભામાં તો વધારો કરવાની સાથો-સાથ લોકોને શહેરી સુવિધાઓનો અહેસાસ પણ કરાવી રહ્યા છે અને હજુ કરાવશે…
શહેર માટે આવો જ એક મહત્વાકાંક્ષી કહી શકાય તેવો પ્રોજેક્ટ દિગ્જામ સર્કલ રેલ્વે ફાટક પર રેલ્વે ઓવર બ્રીજનું કામ પૂર્ણ થયું છે જેને ડો.બાબા સાહેબ આંબેડકર રેલ્વે ઓવરબ્રીજ નામકરણ કરવામાં આવ્યું છે, તેને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઓવરબ્રીજનું ઈ-લોકાર્પણ મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવશે. આ રેલ્વે ઓવર બ્રીજ આવતીકાલથી લોકો માટે કાર્યરત થઇ જતા શહેરીજનોની સુવિધામાં મોટો વધારો થશે, આ રેલ્વે ઓવર બ્રીજ કાર્યરત થતા 1 લાખ લોકોને તેનો સીધો જ રોજીંદો લાભ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. વધુમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના ફાટક મુક્ત શહેરની દિશામાં વધુ એક પગલું જામનગરમાં હશે..અને વધુ એક વિસ્તાર ફાટક મુક્ત થશે અને લોકો વાહનચાલકો સીધા જ જે-તે સ્થળે વિના વિલંબે પહોચી શકશે….
આ પ્રોજેક્ટ અંગે સીટી ઈજનેર ભાવેશ જાનીએ જણાવ્યું કે મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી, ધારાસભ્યો, સાંસદ, અને મનપાના પદાધીકારીઓ તો સાથે જ સંગઠન પાંખ અને અધિકારીઓના પ્રયાસથી આ પ્રોજેકટ મંજુર થયા બાદ કામગીરી પૂર્ણ થઇ છે અને આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે આ બ્રીજ શરુ થતા લોકોને ફાટક બંધ હશે ત્યારે રાહ જોયા વિના જ સીધા જ બ્રીજ પરથી પસાર થઇ શકાશે.
-આ ઓવરબ્રિજનો ઉદેશ..
આ સ્થળ પર ઓવરબ્રીજ બનાવવાનો મુખ્ય ઉદેશ દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ ઉપર જવું હોય તો વચ્ચેના ભાગમાં રેલ્વે ફાટક આવતુ હોય વાહનચાલક અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, આ પ્રોજેકટના કન્સલ્ટન્ટ તરીકે ફ્લાયઓવર અને ઓવરબ્રીજ સહિતના મોટા મોટા કામો કરનાર અને ખુબ અનુભવ ધરાવતા અને વર્ષ 1990થી રાજ્યના જુદા-જુદા શહેરોમાં ફ્લાયઓવર બ્રિજના મહત્વના પ્રોજેક્ટ વિના વિવાદે સંપૂર્ણ કરનાર કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન (ભરૂચ)ના છે. આ સ્થળ પર રેલ્વે બ્રીજની બન્ને બાજુ એપ્રોચીસ બનાવાશે, આ બ્રીજ તૈયાર થવાથી રીંગરોડ બાદ દ્વારકાધીશ રેસીડેન્સી, રવિપાર્ક, નીલકંઠ ધામ, બાલાજી પાર્ક તેમજ અન્ય સોસાયટી થઇને કુલ એક લાખ જેટલા લોકોને જામનગર શહેર સાથે સીધી કનેકટીવીટી મળશે, અને અવાર નવાર રેલ્વે ફાટક પાસે વાહનોની થતી કતાર પણ બ્રીજ હવે જયારે કાર્યરત થવા જઈ રહ્યો છે તે થઇ જતા જોવા નહીં મળે.અને રાજ્ય સરકારનું ફાટક મુક્ત ગુજરાતની દિશામાં વધુ એક સ્વપ્ન સાકાર થશે તેમ વાતચીતના અંતે જણાવ્યું હતું.
-ટેકનીકલ એનાલીસીસ…
જામનગર મહાનગરપાલિકા દ્વારા એલ.સી.નં.199 દિગ્જામ સર્કલ પાસે રેલ્વે ઓવરબ્રીજના કામે અંદાજે રૂ.૩૦ કરોડના ખર્ચે પૂર્ણ થવાના આરે છે. આ કામમાં રેલ્વે ઓવર બ્રીજની લંબાઈ અંદાજીત 625 મીટર અને પહોળાઈ 7.50 મીટર (ટુ લેન) તેમજ રેલ્વે ટ્રેકથી ઉચાઈ 8.30 મીટર રેલ્વે વિભાગના નિયમો મુજબ તથા બંને બાજુના એપ્રોચ 1:20 ના સ્લોપ સાથે તેમજ બાજરા સંશોધન કેન્દ્ર પાસે 1:27ના સ્લોપ સાથે બ્રીજના મેઈન કમ્પોનેન્ટનું કામ પૂર્ણ થયેલ છે. બ્રીજના નીચે પાર્કિંગના બંને બાજુ સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે.
-આવતીકાલે કુલ 214 કરોડના ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમૂહર્તના કાર્યક્રમો
આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણનો કાર્યક્રમ જામનગરના ટાઉનહોલ ખાતે સવારે 9:૩૦ કલાકે યોજાશે જેમાં અતિથી તરીકે કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો હકુભા જાડેજા, આર.સી.ફળદુ, ઉપરાંત મેયર બીનાબેન કોઠારી, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા, ડેપ્યુટી મેયર તપન પરમાર સહિતના ઉપસ્થિત રહેશે જેની હાજરીમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 90 કરોડ, રેલ્વે ઓવરબ્રીજ ૩૦ કરોડ, નાગમતી નદીના પુલથી હાપા નો ફોરલેન રોડ 8 કરોડનું ઈ લોકાર્પણ જયારે ડીઆઈ પાઈપલાઈન દ્વારા વોટરસપ્લાયનું કામ, શહેરમાં જુદી જુદી જગ્યાએ આસ્ફાલ્ટ રોડના કામ, હાપા ખાતે યુએચસી સેન્ટર આમ કુલ મળી 214 કરોડના લોકાર્પણ અને ખાતમૂહર્તના કામો કાલે થશે.