Mysamachar.in-જામનગર:
જામનગરના દરેડ ઉદ્યોગનગરમાં એક બ્રાસભઠ્ઠીમાં દુર્ઘટના બની છે, આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા 4 શ્રમિકો પૈકી 1 ની હાલત અતિ ગંભીર લેખાવવામાં આવી રહી છે. આ ઔદ્યોગિક એકમને ‘હાલ’ તાળું લગાવી દેવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ ઘટના ગઈકાલે રવિવારે બની હતી. સાંજના સમયે દરેડ ઉદ્યોગનગર-3 માં આવેલી શાંતિ મેટલ્સ નામની એક બ્રાસભઠ્ઠીમાં પિતળ ધાતુને ઉંચા તાપમાને પીગળાવી તેનો રસ બનાવવાની કામગીરીઓ ચાલી રહી હતી તે દરમ્યાન કોઈ કારણસર આ ધગધગતો ધાતુરસ 4 શ્રમિકો પર ઉડીને પડ્યો હતો, જેને કારણે આ 4 શ્રમિકો સખત રીતે દાઝી ગયા છે. આ શ્રમિકો ઉત્તરપ્રદેશ અને બિહારના હોવાનું જાહેર થયું છે.
આ ઘટના અંગે કોઈ પણ તંત્રને ભઠ્ઠીમાલિક દ્વારા સામેથી જાણ કરવામાં આવી ન હતી, એવી વિગતો બહાર આવી છે. જો કે આ ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને જીજી હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવા પડ્યા હોવાથી આ મામલો જાહેર થઈ ગયો છે.
આ અકસ્માત અંગે આજે સોમવારે સવારે Mysamachar.in દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. મુખ્ય અધિકારી યોગેશ પેંઢારના જણાવ્યા અનુસાર, જીજી હોસ્પિટલમાં આ ચારેય દાઝેલા શ્રમિકોના ખબરઅંતર પૂછવામાં આવ્યા છે અને બનાવ અંગે જરૂરી વિગતો મેળવવામાં આવી છે. ચાર પૈકી એક શ્રમિકની સ્થિતિ તબીબોના કહેવા અનુસાર અતિ ગંભીર છે. બનાવની ગંભીરતા ધ્યાને લઈ આ ઔદ્યોગિક એકમને ‘કલોઝર’ માટેનો આદેશ આપવામાં આવશે અને જ્યાં સુધી આ યુનિટમાં સુરક્ષાની સ્થિતિઓ નિશ્ચિત કરવામાં આવશે નહીં ત્યાં સુધી આ એકમની કામગીરીઓ બંધ રખાવવામાં આવશે.
હોસ્પિટલ વર્તુળોના જણાવ્યા અનુસાર, આ ચાર દાઝી ગયેલા શ્રમિકોની સારવાર હાલ ચાલુ છે, જે પૈકી વિજય નામનો એક શ્રમિક વધુ દાઝી ગયો છે તેથી તેની વિશેષ સારવાર કરવામાં આવી રહી છે. દાઝી ગયેલા અન્ય 3 શ્રમિકોના નામ અનિલ, સંજય અને સોમપાલ છે. આ શ્રમિકોની ઉંમર 21 થી 30 વર્ષની એટલે કે ચારેય શ્રમિક યુવાન છે. મામલો હોસ્પિટલ પહોંચી ચૂક્યો હોય, પોલીસ વિભાગ પણ જરૂરી કાગળો કરી રહ્યો છે.