Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના કનસુમરા ગામમાં એક ટ્રસ્ટ અને આ ટ્રસ્ટની કરોડો રૂપિયાની રકમ મામલે મોટો વિવાદ થશે કેમ કે આ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે અને મામલો ‘ગામ’ના રૂપિયા ખાનગી કામોમાં ખર્ચ થતાં હોવાનો આરોપ છે. પોલીસમાં આ મામલાને છેતરપિંડી તરીકે લેખાવવામાં આવ્યો છે.
આ ફરિયાદની વિગતો એવી છે કે, મૂળ કનસુમરા ગામના વતની અને હાલ જામનગરમાં મહારાજા સોસાયટીમાં રહેતાં કાસમભાઈ દોસમામદભાઈ ખીરાએ ગઈકાલે સોમવારે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, કનસુમરાની ગામ સમસ્તની ‘અવેડીયા’ તરીકે ઓળખાતી જગ્યા જેતે સમયે GIDCમાં સંપાદિત થતાં, ગામલોકોએ 2001માં એક ટ્રસ્ટ બનાવેલું અને આ જમીનની વળતરની આશરે રૂ. 20-22 કરોડ જેટલી રકમ આ ટ્રસ્ટમાં જમા થઈ હતી.
આ ટ્રસ્ટમાં જમા થયેલી રકમ ગામના વિકાસ માટે ખર્ચ કરવા આ ટ્રસ્ટ બનાવવામાં આવેલું. પરંતુ વર્ષ 2022માં ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નિમણુંકો થઈ. આ ટ્રસ્ટના અગિયારમા ક્રમના ટ્રસ્ટી તરીકે આ ફરિયાદીનું નામ છે. ટ્રસ્ટના પ્રમુખ હુશેનભાઈ સુલતાનભાઈ ખીરા છે, ઉપપ્રમુખ હનીફભાઈ અલારખા ખીરા છે, ખજાનચી તરીકે અલ્તાફભાઈ(રાજા) જુસબભાઈ ખીરા છે અને જનરલ સેક્રેટરી તરીકે ઈકબાલભાઈ હારૂનભાઈ ખીરા છે.

ઈકબાલભાઈ સહિતના 3 લોકો વહીવટ કરે છે, ઠરાવ વગેરે બાબતોમાં ફરિયાદી ટ્રસ્ટીને બોલાવતા નથી, ગામના વિકાસના નામે ટ્રસ્ટના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવામાં આવે છે. ગામની ગૌચરની જમીનમાં રોડ બનાવવામાં આવ્યો છે. ખાનગી સોસાયટીમાં પણ ટ્રસ્ટના નાણાંથી રોડ બનાવવામાં આવ્યો છે. 2022માં આ ટ્રસ્ટ પાસે રૂ. 17-18 કરોડ જેટલું ભંડોળ હતું. ઈકબાલભાઈના નિર્ણય મુજબ ટ્રસ્ટ કામ કરે છે. થોડા સમય પહેલાં આ ટ્રસ્ટનું ભંડોળ અન્ય ટ્રસ્ટમાં દાન તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. જો કે તેમાં ગામલોકો અને ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ કમિશનથી રૂપિયા પરત મેળવી લીધાંની અમોને જાણ થતાં આ અંગે અમોએ રજૂઆત પણ કરેલી.
આટલી વિગતો ઉપરાંત ફરિયાદીએ પોલીસમાં એમ પણ જાહેર કર્યું છે કે, નાણાંકીય બાબતોમાં ગ્રામજનો સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હોવાની અમોને માહિતીઓ મળી છે. ટ્રસ્ટના નાણાંનો અંગત ફાયદા માટે ક્યાંક ઉપયોગ થઈ રહ્યો છે. આ મામલે રાજકોટ ચેરિટી કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદીએ મોટાં નાણાંકીય કૌભાંડની પણ આશંકા વ્યકત કરી છે. ફરિયાદીએ 9 ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.
