Mysamachar.in: જામનગર
વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને માબાપ, શિક્ષકો, વડીલો અને સમાજ- બધાં જ હિંમત આપતા હોય છે કે, પરીક્ષાઓમાં હારી જવાથી આપણે જિંદગી નથી હારી જતાં. હિંમત રાખવી. આમ છતાં ઘણાં વિદ્યાર્થીઓ નબળા પરીક્ષા પરિણામ બાદ આપઘાત કરી લેતાં હોય છે, જેને પરિણામે સમગ્ર પરિવારે શોકનો અહેસાસ કરવો પડતો હોય છે. આવો વધુ એક બનાવ જામનગરમાં બન્યો છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવ અકસ્માત મોત તરીકે જાહેર થયો. શહેરના રણજિતસાગર રોડ પર વૃજભૂષણ સ્કૂલની પાછળ, ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ વાટલીયાએ પોલીસમાં જાહેર કર્યું કે, તેની 18 વર્ષની પુત્રી કેસર એ NEET ની પરીક્ષા આપેલી. આ પરીક્ષામાં સારા માર્કસ ન આવતા, આ છાત્રાએ આત્મહત્યા કરી લીધી છે. છાત્રાએ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી લીધી.