Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથેસાથે હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સચરાચર ચોમાસુ આગળ વધી રહ્યું છે અને ગઈકાલે મંગળવારે સતત બીજે દિવસે પણ બંને જિલ્લાઓના બધાં જ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં જોડિયા પ્રથમ ક્રમે રહ્યું છે.
મંગળવારની સવારના 6 વાગ્યાથી શરૂ કરીને આજે બુધવારની સવારના 6 વાગ્યા સુધીનો 24 કલાકનો વરસાદ કંટ્રોલરૂમ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં મંગળવારે આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું અને બપોર બાદના સમયમાં વરસાદ વરસ્યો છે. બપોરના 2 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં પોણાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયામાં આ 24 કલાક દરમ્યાન સવા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોડિયા પંથકમાં મંગળવારે બપોરે બે થી રાત્રિના આઠ સુધીમાં સારો વરસાદ નોંધાયો. જોડિયા નજીકના ધ્રોલમાં આ જ સમયગાળા દરમ્યાન દોઢેક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ સાથે જ જિલ્લાના કાલાવડમાં પણ આ જ કલાકો દરમ્યાન દોઢેક ઈંચ વરસાદ વરસી ગયો હતો. લાલપુરમાં મંગળવારે અડધાં ઈંચથી થોડો વધુ વરસાદ વરસ્યો છે અને જામજોધપુરમાં એક ઈંચથી થોડો ઓછો વરસાદ નોંધાયો.
જામનગર જિલ્લાની સાથેસાથે દ્વારકા જિલ્લામાં પણ મંગળવારે બધાં જ ચારેય તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ બીજે દિવસે પણ કલ્યાણપુર તાલુકાનો બે ઈંચથી થોડો વધુ નોંધાયો છે. આ સાથે જ દ્વારકા અને ખંભાળિયા પંથકમાં પોણાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો, જયારે ભાણવડ પંથકમાં ખૂબ હળવો અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
-જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ અલિયાબાડામાં…
ગઈકાલે મંગળવારે ફરી એક વખત જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો. સૌથી વધુ 3 ઈંચ વરસાદ અલિયાબાડામાં અને મોટી બાણુગારમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત જામવંથલી, મોટી ભલસાણ, હડીયાણા, પીઠડ તથા જાલિયાદેવાણીમાં પોણા બે ઈંચથી માંડીને સવા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
આ સાથે જ લાખાબાવળ, ફલ્લા, દરેડ, બાલંભા, લૈયારા, મોટાવડાળા, ભલસાણ બેરાજા, મોટા પાંચ દેવડા, સમાણા, વાંસજાળીયા, ધ્રાફા, પરડવા, હરિપર અને પીપરટોડામાં એક સવા ઈંચ સુધીનો અને બાકીના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાયા હતાં. એકંદરે સોમવાર બાદ મંગળવારે સતત બીજે દિવસે પણ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરીના અણસાર આપ્યા જેથી તમામ લોકો ખુશ છે અને વાતાવરણમાં આછેરી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.