Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવા મુદ્દે, અત્યાર સુધી, કાયમ નિષ્ફળ પૂરવાર થઈ છે. આ સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા વધુ એક વખત પશુઓ વિરૂદ્ધની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે ગણતરીના કલાકો કે દિવસોમાં જ, કાગળ પરની ઝુંબેશ પૂરવાર થવાની શક્યતા પુષ્કળ છે. કેમ કે, આ મુદ્દે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ શાખા હસ્તકની ઢોર પક્કડ શાખાનો ભૂતકાળ ક્યારેય તેજસ્વી રહ્યો નથી.
સમગ્ર રાજયની માફક જામનગર મહાનગરમાં પણ રખડતાં પશુઓનો ત્રાસ જાણીતી હકીકત છે. રખડતાં ઢોરને કોર્પોરેશન ક્યારેય નિયંત્રણમાં રાખી શક્યું નથી. થોડાથોડા સમયે કોર્પોરેશન દ્વારા નવીનવી ઝુંબેશ શરૂ કરવામાં આવે છે ! જેનું પરિણામ શૂન્ય હોય છે ! નગરજનો રખડતાં પશુઓ અને રખડતાં શ્વાનોથી પરેશાન છે, ફફડે છે, અકસ્માતનો ભોગ બને છે, ઈજાઓ પણ પામે છે અને ઘણાં કિસ્સાઓમાં મોતને પણ ભેટે છે ! આમ છતાં કોર્પોરેશન આ મુદ્દે કશું જ કરી શકતું નથી !
કોર્પોરેશન થોડા થોડા સમયે જાહેર કરે છે – અમે આટલી ટીમો બનાવી, આ ટીમો આટલી શિફ્ટમાં આટલાં કલાક કામ કરશે, અમે ઢોર પકડવા સતત પ્રયાસો કરીએ છીએ, અમે પશુમાલિકો વિરૂદ્ધ આમ કરીશું અને તેમ કરીશું, અમે જાહેરમાં ઘાસચારો વેચતાં ઈસમો વિરૂદ્ધ ફલાણા પગલાં લેશું, અમે પશુમાલિકોની ઓળખ માટે પશુઓનાં કાનોમાં કડી પહેરાવીશું , અમે પશુઓને શહેરમાંથી પકડી, અમદાવાદ પાંજરાપોળ ખાતે મોકલી આપીશું, અમે પશુમાલિકોને નોટિસ આપીશું, અમે પશુમાલિકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવીશુ — આ પ્રકારની વારતાઓ જામનગરનાં નગરજનો વર્ષોથી સાંભળતા આવ્યા છે.
જો કોર્પોરેશન દ્વારા આ બધી જ કામગીરીઓ કરવામાં આવી છે તો, વધુ એક વખત ઝુંબેશ શરૂ શા માટે કરવી પડી રહી છે ?! શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં જાહેર માર્ગો પર પશુઓનાં ટોળાં ઉભેલાં હોય જ છે ! કોર્પોરેશનને દેખાતાં નથી ? શહેરમાં, જાહેરમાં, માર્ગો પર ખુલ્લેઆમ ઘાસચારો વેચતાં ઈસમો કોર્પોરેશનને દેખાતાં નથી ?! એવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે !
હકીકત એ છે કે, તાજેતરમાં હાઈકોર્ટે વધુ એક વખત સરકારને રખડતાં પશુઓ મુદ્દે ફટકારી છે. અને સરકારને અદાલતે કહ્યું છે કે, રખડતાં ઢોર મુદ્દે રાજયની તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ માટે માર્ગદર્શિકા તૈયાર કરી, અદાલત સમક્ષ મૂકવામાં આવે. આ પ્રકારનાં તાપની અસરો છેક જામનગર સુધી પહોંચી હોય, એ પણ શક્ય છે. મુદ્દાની વાત એ છે કે – પશુઓનાં નામે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ પરિસ્થિતિમાં આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ જ ફરક નોંધાયો નથી, જે કોર્પોરેશનની અસલિયત અને નિયત ખુલ્લી પાડે છે.