Mysamachar.in-જામનગર:
જામનગર સહિત કોઈપણ શહેરમાં સામાન્ય રીતે, મધ્યમવર્ગના પરિવારો આખી જિંદગીમાં એક જ વખત ઘરના ઘરની ખરીદીઓ કરતા હોય છે કારણ કે, એક તરફ લોકોને મોટી આવકના અને બચતના ફાંફા છે અને મોંઘવારી તથા ફૂગાવાને કારણે મકાનોની કિંમત આકાશને આંબી રહી છે. આ પ્રકારની સ્થિતિઓ હોય, લોકોએ મકાનની ખરીદી કરતી વખતે ખરેખર તો સાત ગળણે ગાળીને પાણી પીવું જોઈએ, એમ શાણાં લોકોનું કહેવું છે. મકાન ખરીદી લીધાં બાદ સમસ્યાઓ અંગે કાગારોળ મચાવવાનો કોઈ અર્થ રહેતો નથી.
સૌ જાણે છે કે, કોર્પોરેશન અને વીજતંત્રની કચેરીઓ જેવા સ્થળોએ સમગ્ર વર્ષ દરમ્યાન લોકોના ટોળા ઉમટી પડતા હોય છે. રજૂઆતો થતી રહે, આવેદનપત્રો અપાય, ધરણાં કે પ્રદર્શન થતાં રહે અને કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ફરિયાદો થતી રહે છે. ટૂંકમાં, કોર્પોરેશન અને શહેરમાં રોજેરોજ અનેક જાતની સમસ્યાઓ અંગે અનેક લોકો ઉકળાટ ઠાલવતા હોય છે.
સાવ દીવા જેવી હકીકત એ છે કે, શહેરને ફરતે હજારો નવી સોસાયટીઝ બની રહી છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સની જાહેરાતો ધડાધડ થતી રહે છે. ઘરનું ઘર બુક કરાવવા હજારો પરિવારો થનગનતા હોય છે. બેંકોમાંથી ફટાફટ લોન્સ લેવામાં આવતી હોય છે. અને, એ રીતે જામનગર મહાનગર બનવા તરફ દોડી રહ્યું છે.
બીજી તરફ સેંકડો સોસાયટીઝના રહેવાસીઓ એવી ફરિયાદ કરતા હોય છે કે, સોસાયટીમાં રસ્તાઓ બરાબર નથી. સેંકડો લોકો એવો બળાપો વ્યક્ત કરતાં હોય છે કે, વપરાશી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાઓ યોગ્ય નથી. હજારો લોકો કહેતા હોય છે, અમારા વિસ્તારોમાં હજુ પાણીની પાઈપલાઈન આવી નથી. અસંખ્ય લોકો ઉકળાટ કાઢતા હોય છે કે, અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઠેકાણાં નથી. ઘણાં લોકો કહેતા હોય છે કે અમારા વિસ્તારમાં વીજળીના લો-વોલ્ટેજની સમસ્યાઓ છે. વારંવાર પાવરકટની સમસ્યાઓ છે. પૂરતા વીજથાંભલા કે પૂરતા ટ્રાન્સફોર્મર નથી. ઘણી સોસાયટીઝમાં સફાઈની સમસ્યાઓ હોય છે. મોટાભાગની સોસાયટીઝના રહેવાસીઓ ચોમાસામાં રાડો પાડતા હોય છે કે, સોસાયટીના પ્રવેશદ્વાર નજીક અથવા સોસાયટીમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે. અને ઘણી સોસાયટીઝમાં અધૂરામાં પૂરૂ ચોરીઓ તથા ઉઠાંતરીના બનાવો બનતા રહે છે. અને મોટાભાગની સોસાયટીઝને સિટી બસના રૂટ આપવામાં આવ્યા નથી.
આ પ્રકારની સ્થિતિઓ દર્શાવે છે કે, શહેરનો વિકાસ સંતુલિત કે વાઈબ્રન્ટ નથી. હજારો લોકો અનેક સમસ્યાઓ સાથે જિવી રહ્યા છે. જાણકારોનો મત એવો છે કે, મકાન ખરીદનાર કે બુકિંગ કરાવતા દરેક ગ્રાહકે કોર્પોરેશન, બિલ્ડર, વીજતંત્ર, નગર બસ સેવા, ચોરીઓ જેવા ગુનાઓ- આ બધી જ બાબતો અંગે, આ બધાં જ તંત્ર તથા ધંધાર્થીઓની જવાબદારીઓ અને આવડતો અંગે અગાઉ બધું વિચારવું જોઈએ. આપણાં બેચાર પરિચિતો કયાંય મકાન ખરીદે એટલે આપણે પણ તે વિસ્તારમાં મકાન ખરીદી લેવું- એ માનસિકતા યોગ્ય ન લેખાય. વિવિધ સમસ્યાઓ અંગે જાગૃત રહેવું જોઈએ. મકાન ખરીદી લીધાં બાદ કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે, એ બધી જ બાબતોનો ક્યાસ કાઢી ‘નિરાંતે’ મકાન ખરીદવું જોઈએ. શહેરમાં જોવા મળી રહ્યું છે કે, મકાન ખરીદવામાં ઉતાવળ કરનાર હજારો લોકો નિરાંતે પસ્તાઈ રહ્યા છે અને રોજ માથાફોડી કરી રહ્યા છે ! (Presentation image)