Mysamachar.in:મહીસાગર:
એક તરફ સરકાર છેવાડાના માણસના રોજગાર અને સુવિધાઓ માટે વિવિધ ‘સરકારી’ યોજનાઓ ચલાવે છે, બીજી તરફ આ યોજનાઓમાં કરોડોના કૌભાંડો ધૂણતા રહે છે- તેથી લોકોમાં પ્રશ્ન એ છે કે, સરકારી યોજનાઓનો સાચી અને સારી રીતે અમલ કરાવવાની જેમની જવાબદારીઓ છે, તે જવાબદારો સરખી રીતે પોતાની જવાબદારીઓ અદા નથી કરતાં ?! રાજ્યમાં ‘મનરેગા’ બાદ હવે ‘નલ સે જલ’નું કરોડોનું કૌભાંડ ગાજયું !!
સરકારી યોજનાઓ ચાલી રહી હોય ત્યારે, કરદાતાઓના નાણાં સરકારની તિજોરીમાંથી ઉસેડીને કૌભાંડીઓ પોતાના ખિસ્સામાં સેરવી લ્યે છે ત્યારે, આ નાણાંના પ્રવાહ પર કોઈ જવાબદાર અધિકારીની દેખરેખ નથી હોતી ? સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીઓ થઈ ગયા બાદ, લાંબા સમય પછી છેક ફરિયાદ અને તપાસની તજવીજ અને ગાજવીજ થાય- એ પહેલાં બધું લોલંલોલ !!
રાજ્યમાં થોડા સમય અગાઉ ‘મનરેગા’નું કરોડો રૂપિયાનું કૌભાંડ જાહેર થયું. જેમાં મંત્રીપુત્રો બધું ઓપરેટ કરતાં હતાં, એવી વિગતો બહાર આવી. ત્યારબાદ ગઇકાલે સોમવારે બપોર બાદ રૂ. 123 કરોડના વધુ એક કૌભાંડની વિગતો બહાર આવી, આ કૌભાંડ ‘નલ સે જલ’ યોજનામાં છે. જેમાં એક સરકારી અધિકારી અને એક ડઝન આઉટસોર્સ કર્મચારીઓની મિલીભગત હોવાની વિગતો FIRમાં જાહેર થતાં ચકચાર મચી. રાજ્યમાં નલ સે જલ યોજનામાં તોતિંગ કૌભાંડ થયાનો આ પ્રથમ કેસ છે.
વડોદરા ઝોન CID ક્રાઈમમાં આ ગુનો નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં આ કૌભાંડ થયું છે. આરોપીઓએ સરકારની તિજોરીમાંથી રૂ. 123.44 કરોડ સેરવી લઈ પોતાના ખિસ્સામાં મૂકી દીધાં. સરકારની સાથે આ છેતરપિંડીઓ જાન્યુઆરી-2019ના પ્રથમ દિવસે શરૂ થઈ અને ડિસેમ્બર-2023ના છેલ્લા દિવસ સુધી ‘ચાલતી’ રહી. હવે ફરિયાદ દાખલ થઈ.
-આ તોતિંગ કૌભાંડની મોડસ ઓપરેન્ડી FIR માં જાહેર થઈ..
મહીસાગર જિલ્લાના 620 ગામો એવા છે જ્યાં લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પાઈપલાઈન પાથરવાની હતી, કૂવા બનાવવાના હતાં અને ટ્યૂબવેલ સુવિધાઓ આપવાની હતી. બધું જ કાગળો પર કરી લેવામાં આવ્યું. બિલો રજૂ કરી દેવામાં આવ્યા. અને ગુનાહિત ષડયંત્ર રચી રૂ. 123.44 કરોડ કૌભાંડીઓએ પોતાના ખિસ્સામાં સેરવી લીધાં ! આટલાં વર્ષ સુધી ચૂંટાયેલા લોકો અને જવાબદાર ઉચ્ચ અધિકારીએ આ કામગીરીઓ તરફ ‘નજર’ પણ નહીં કરી હોય ?! આટલાં વર્ષ દરમ્યાન આ કામગીરીઓની કોઈ પણ કક્ષાએથી સમીક્ષાઓ નહીં થઈ હોય ?! કે, ચોક્કસ કારણોસર સૌ થાબડભાણાં કરી રહ્યા હતાં ?! એવા પ્રશ્નો સપાટી પર આવી ગયા.
આ 123 કરોડ રૂપિયા હવે સરકારી તિજોરીમાં પરત કેવી રીતે આવશે ? અને 6-6 વર્ષ સુધી હજારો લોકોને પીવાના પાણીથી વંચિત રાખવાનું જે પાપ આચરવામાં આવ્યું- તેની જવાબદારીઓ કોની ?! સૌ જવાબદારો 2019થી અત્યાર સુધી ઘોરતા રહ્યા ? અત્રે ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લાનું કરોડો રૂપિયાનું ‘મનરેગા’ કૌભાંડ જાહેર થયું તે પછીના 60 દિવસ બાદ આ જૂના કૌભાંડના મડદાં મહીસાગર જિલ્લામાં હવે બહાર આવ્યા. અત્યાર સુધી સૌ મૌન રહ્યા !!