Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદે આવેલાં પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના 191 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા બરડા જંગલમાં આગામી સમયમાં 40 સિંહનો વસવાટ શક્ય છે. વનવિભાગ અહીં દીવાળી પહેલાં 6 સિંહનો વસવાટ કરાવી દેશે અને આ નવા લાયન સફારીના ઉદઘાટન માટેની તારીખ નક્કી કરવા મુખ્યમંત્રી કાર્યાલય અને વનવિભાગ વચ્ચે વાતચીત ચાલી રહી હોવાનું સૂત્ર જણાવે છે.
અહીં સિંહોને રિલોકેટ કરવા બરડા ડુંગર વિસ્તારમાં સાંબર અને હરણના ઉછેર કેન્દ્ર પણ શરૂ થશે. શરૂઆતના તબક્કામાં અહીં 4 ખુલ્લી જિપ મૂકવામાં આવશે, જે પ્રવાસીઓને 15 કિમી ના વિસ્તારમાં સિંહદર્શન કરાવશે. સાસણ પેટર્ન પર આ સિંહદર્શન સવાર સાંજ કરાવવામાં આવશે.
શરૂઆતમાં પોરબંદર વનવિભાગની કચેરીએથી પ્રવાસીઓ સિંહદર્શન માટેનું બુકિંગ કરાવી શકશે. બાદમાં આ બુકિંગ ઓનલાઈન કરવાની વ્યવસ્થાઓ ગોઠવાશે. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાએ બરડા અભ્યારણ્યને સંભવિત સાઈટ તરીકે આ અગાઉ જાહેર કરી હતી.(file image source:google)