Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાની તિજોરીને જાણે કે કોઈની નજર લાગી ગઈ છે ! આ તિજોરી કાયમ ઠનઠન ગોપાલ જ રહે છે ! જેને કારણે કોર્પોરેશન જરૂરિયાતોનાં કામોમાં પણ વાઈબ્રન્સી દેખાડી શકતું નથી ! ઘણી વખત તો કર્મચારીઓને પગાર આપવામાં પણ સાંસા પડે છે. બીજી બાજુ જાણકારો એમ પણ કહે છે કે, જામ્યુકોમાં નાણાંનો વરસાદ વરસી શકે તેમ છે, પરંતુ સૌ નિરસ છે ! કોર્પોરેશનની આવક વધારવામાં કોઈને રસ નથી !
રાજય સરકારે જામ્યુકોને 2018 પહેલાં કહેલું કે, 2022 સુધીમાં મિલ્કતવેરાની ચતુર્વષિય આકારણી પૂર્ણ કરી લ્યો અને 2022/23 માં નવી આકારણી મુજ્બ વેરાઓની બિલિંગ સાયકલ ગોઠવી, કોર્પોરેશનની આર્થિક સ્થિતિ સુધારવાનો તમારી પાસે ચાન્સ છે. પરંતુ આ તો જામ્યુકો છે, અહીં કોર્પોરેશનની આવક વધારવામાં કોઈને રસ નથી ! સૌ વ્યક્તિગત એજન્ડા આસપાસ ગરબે રમે છે ! જેને કારણે થોડાં થોડાં સમયે કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને અધિકારીઓએ નાણાં માટે ખોળો પાથરવા ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે.
જામનગર મહાનગરપાલિકા ચતુર્વષિય આકારણી મુદ્દે મિલકતધારકોને પ્રથમ અને આખરી નોટિસ અગાઉ આપી ચૂકી છે. મિલકતધારકોનાં વાંધાસૂચનો પણ સાંભળી ચૂકી છે. આમ છતાં દોઢેક વર્ષથી આ દિશામાં આગળ વધતી નથી ! જાણવા મળે છે કે, શહેરની હદ વધતાં જે નવાં વિસ્તારો વિકસી રહ્યા છે તેમાં અંદાજે 60,000 જેટલી બાંધકામ મંજુરીઓ પણ અપાઈ ગઈ છે અને આ વિસ્તારોમાં અંદાજે 30-35 હજાર જેટલાં નવા બાંધકામો પણ ખડકાઈ ગયા છે. મોટાભાગના બાંધકામોને BU પરમિશન પણ અપાઈ ચૂકી છે. આમ છતાં, નવી આકારણી માટે આ નવાં વિસ્તારોમાં જામ્યુકો દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો નથી !
જામનગર મહાનગરપાલિકાની હદમાં એક અંદાજ મુજબ, 2.85 લાખ જેટલી મિલ્કતો છે. જે પૈકી 2.25 લાખ જેટલી જૂની મિલકતોને નવી આકારણી મુજ્બ વેરાબિલો આપવામાં આવે તો કોર્પોરેશનની તિજોરીમાં વધારાનાં ચાલીસેક કરોડ રૂપિયા આવી પડે ! અને એ પણ દર વર્ષે ! આ ઉપરાંત નવાં ભળેલા વિસ્તારોમાં ખડકાયેલાં બાંધકામોની નવી આકારણી થાય તો તે મિલકતધારકો (આશરે 60,000 મિલ્કતો) પાસેથી પણ કોર્પોરેશનને અંદાજે પચાસેક કરોડ રૂપિયા દર વર્ષે, વધારાનાં મળી શકે ! આમ રફ હિસાબ પ્રમાણે, જામ્યુકો નવી આકારણી નામનાં સાધનની મદદથી દર વર્ષે તિજોરીમાં વધારાનાં રૂ. એક અબજ ઠાલવી શકે ! નાણાંનો વરસાદ થઈ શકે એમ છે. પરંતુ કરદાતા નગરજનોનાં નસીબ ખરાબ છે, જામ્યુકોની આવક વધારવામાં કોઈને રસ નથી ! પદાધિકારીઓ અને અધિકારીઓ પરચૂરણ અને વ્યક્તિગત વાહવાહીમાં વ્યસ્ત છે !
કમિશનર ડી.એન.મોદી વહીવટના માણસ છે. સિનિયર અને અનુભવી છે. તેઓ મોટાં ગામડાં જેવા જામનગરને ખરાં અર્થમાં મહાનગર બનાવવા ઈચ્છે છે. શહેરને મહાનગર બનાવવા ચિક્કાર નાણું જોઈએ. કમિશનર ધારે તો આ નવી આકારણીનો મુદ્દો જે દોઢેક વર્ષથી પડતર છે તેને આગળ ધપાવવા બીડું ઝડપી શકે અને જો એમ થાય તો, જામ્યુકોની તિજોરીમાં તેઓ નાણાંનો વરસાદ વરસાવી શકે. તેઓ ધારશે ? કયારે ધારશે ?! એ પ્રશ્નો મહત્વનાં છે.
-આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) શું કહે છે ?
જામ્યુકોમાં તાજેતરમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ તરીકે વરાયેલા મુકેશ વરણવાએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમો આ નવી આકારણી મુદ્દે ફાઈનલ અપડેશનની તૈયારી કરી રહ્યા છીએ. આગામી બિલિંગ સાયકલમાં નવી આકારણી લાગુ કરી શકાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
-નવી આકારણીને ચેલેન્જ કરી શકાય ?!
જામ્યુકોમાં અગાઉ એવું બન્યું છે કે, વર્ષ 2013 માં જામનગરની હદ વધ્યા પછી, જામ્યુકોએ છેક 2017 માં જૂની તારીખોનાં વેરા આકારણી બિલો આપ્યા હતાં જેને અદાલતમાં પડકારવામાં આવતાં, અદાલતે જામ્યુકોને કહેલું : બિલોની બજવણી સમયસર થવી જોઈએ. હાલની નવી ચતુર્વષિય આકારણીમાં પણ એવું છે ! 2022/23 માં નવી આકારણી મુજ્બ બિલો આપવાનાં હતાં. જે 2023/24 માં પણ જામ્યુકો આપી શકી નથી ! આથી જો જામ્યુકો હવે આ બિલો 2024/25 માં આપે તો, કોઈ મિલકતધારક એ નવી આકારણીનાં બિલને હાઈકોર્ટમાં પડકાર પણ ફેંકી શકે ! ( આ પ્રકારની સ્થિતિ સર્જવા માટે અત્યાર સુધી સૌ નિરસ રહ્યા હોય, એવું પણ વિચારી શકાય !).