Mysamachar.in-જામનગર:
ભારત સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગ દ્વારા રાષ્ટ્રપતિના આદેશથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) માટે દેશભરમાં ખાસ સરકારી વકીલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂકોમાં, જામનગરના નામાંકિત અને સિનીયર ધારાશાસ્ત્રી તથા ૨૦૧૭થી જિલ્લા સરકારી વકીલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જમનકુમાર કે. ભંડેરીની જામનગર જિલ્લા માટે કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ (Special Public Prosecutor) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેનો સત્તાવાર આદેશ ભારત સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગ દ્વારા ૨ જૂન, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીથી જારી કરવામાં આવ્યો છે.

જમનકુમાર ભંડેરી, કે જેઓ જામનગરમાં તેમની કાયદાકીય કુશળતા અને બહોળા અનુભવ માટે જાણીતા છે, તેઓ હવેથી જામનગર કસ્ટમ્સ કમિશનરેટના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારોમાં નોંધાતા તમામ કસ્ટમ્સ સંબંધિત કેસોમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરશે. જામનગર જિલ્લા સરકારી વકીલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ભંડેરીએ અનેક જટિલ અને મહત્વપૂર્ણ કેસોમાં સરકાર પક્ષે સફળતાપૂર્વક દલીલો કરી રાજ્યના હિતોનું રક્ષણ કર્યું છે. તેમની આ નવી ભૂમિકામાં, તેઓ જામનગર જિલ્લા અને સેશન્સ કોર્ટ સમક્ષ કસ્ટમ્સ વિભાગના કેસોનું સંચાલન કરશે.