Mysamachar.in-જામનગર:
વીજતંત્ર અન્ય કેટલાંક સરકારી વિભાગોની માફક ફાંકા ફોજદારી કરવામાં અને વીજબચત રેલી જેવા સરકારી કાર્યક્રમો યોજવામાં જ માહિર છે- ક્વોલિટી વર્કના નામે આ સરકારી તંત્ર પણ, વર્ષોથી તકલાદી હોવાનું લાખો લોકો જાણે જ છે. ગઈકાલે સોમવારે રાત્રે, ચાર વરસાદી છાંટામાં જ તંત્રની આબરૂ વધુ એક વખત પલળીને હવાઈ ગઈ. લાખો લોકોની ‘રાત’ આ તંત્રના રેઢિયાળપણાંને કારણે બરબાદ થઈ ગઈ.
ગઈકાલે સોમવારે રાત્રે આ ચોમાસામાં પ્રથમ વખત શહેરમાં માત્ર છાંટાના રૂપમાં એકદમ હળવો વરસાદ નોંધાયો. આટલાં અમથા છાંટામાં અડધા શહેરમાં વીજપૂરવઠો ગાયબ થઈ ગયો. ઘણાં બધાં વિસ્તારો તો એવા પણ હતાં કે જ્યાં રાતભર વીજપૂરવઠો વારંવાર, ક્યાંક ક્યાંક તો ત્રણ-ચાર-પાંચ વખત ગાયબ થઈ ગયો. રાતભર લાખો લોકો અકળાયા. લાખો લોકોની રાત બગડી. આ લાખો લોકોએ સવારે ધંધા-રોજગાર અને નોકરીઓ માટે પહોંચવાનું હોય. લાખો ગૃહિણીઓ દિનભરના કામોથી થાકી હોય પરંતુ રાત્રે તેઓ ઉંઘ ન કરી શક્યા. આ ઉપરાંત હજારો બાળકો અને વૃદ્ધો તથા બિમાર લોકોની હાલત દયનીય બની ગઈ. સૌ રાતભર પરેશાન રહ્યા.
-વીજતંત્રની પ્રિ-મોન્સૂન સહિતની કામગીરીઓ માત્ર કાગળ પર..!!
સૌ જાણે છે કે, વીજતંત્ર આખું વર્ષ ઘોષિત અને અઘોષિત વીજકાપ લાદી, આખા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ‘કથિત’ મેન્ટેનન્સ કામગીરીઓ કરતું હોય છે, ઝાડવાની ડાળીઓ કાપવાના નાટકો કરતું હોય છે, અમે ટ્રાન્સફોર્મર બદલાવી નાંખ્યા, સમારકામ કરી લીધું, જમ્પર રીપેર કર્યા, વીજવાયરો બદલાવ્યા અને ટ્રાન્સફોર્મરમાં ઓઈલ વગેરે બદલાવી લીધું- એવા બણગા ફૂંકે, પ્રચાર કરે, લાખો અને કરોડો રૂપિયાના ખર્ચ ખાતે ઉધારે, કલેક્ટર કચેરીમાં યોજાતી બેઠક સહિતના જાહેર સ્થળો પર ખુદના હાથે, ખુદની પીઠ થાબડે અને સાથે સાથે પ્રિ-મોન્સૂન સહિતની કહેવાતી કામગીરીઓની સ્વ પ્રશંસા કરે…પણ દર વર્ષે, બે-ચાર વરસાદી છાંટા પડતાં જ તંત્રનો પ્રચાર પલળી જાય, હવાઈ જાય કે તણાઈ જાય !
તંત્રના જવાબદારોની જવાબદારીઓ શું ? આ તંત્રની કથિત કામગીરીઓની સમીક્ષાઓ કોઈ કરે છે ? તંત્રની કથિત કામગીરીઓના લેખાજોખા સરકારમાં કોઈ કરે છે ? તંત્રની કરોડો રૂપિયાની ખરીદીઓ, કરોડો રૂપિયાનો પગાર, હજારો મિટિંગ- બધું જ વર્ષોથી પાણીમાં ?! અને ઉપરથી પ્રમાણિક વીજગ્રાહકોને મોંઘી વીજળીના ડામ તથા સાથેસાથે બેફામ વીજચોરી ! રાજ્યના ઉર્જા મંત્રાલયની પ્રતિષ્ઠા- આટલી તકલાદી ?! વગેરે પ્રશ્નો જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વર્ષોથી પૂછાઈ રહ્યા છે !!