Mysamachar.in-જામનગર:
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં મર્ડરનો એક બનાવ બની ગયા અંગે પોલીસમાં મૃતકના ભાણેજે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ અનુસાર, મૃતકને છૂટાછેડા બાદ પૂર્વ પત્નીને ફોન કરવાની કિંમત ચૂકવવી પડી છે અને જિંદગી ગુમાવવી પડી છે. આ ફરિયાદમાં 2 આરોપીઓના નામો જાહેર થયા છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી નામના એક પેટા વિસ્તારમાં મિલનભાઈ પરમાર નામના એક આધેડની હત્યા થઈ છે. હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાણેજ યશ હસમુખભાઇ ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તેના મૃતક મામા મિલનભાઈ પરમાર સિકયોરિટી કર્મી તરીકે નોકરી કરતાં હતાં અને એકલા રહેતા હતાં કારણ કે થોડા મહિનાઓ અગાઉ મૃતક અને તેના પત્ની દક્ષાબેનના છૂટાછેડા થઈ ગયા હતાં.
આ છૂટાછેડા બાદ દક્ષાબેન મયૂર ગોહિલ નામના પોતાના એક મિત્ર સાથે રહે છે. દક્ષાબેનને 18 વર્ષનો એક પુત્ર છે, જે તેમની સાથે જ રહે છે અને એક પરણીત પુત્રી સાસરે છે. દરમ્યાન, તાજેતરમાં મૃતક મિલનભાઈએ પોતાની પૂર્વ પત્ની દક્ષાબેનને ફોન કર્યો હતો એ મામલે આ બનાવ બન્યાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ફોનને કારણે દક્ષાબેનનો મિત્ર મયૂર ગોહિલ ઉશ્કેરાઈ ગયો હતો અને મયૂરએ પોતાના સાગરિત સંજય સાથે મળી મિલનભાઈની હત્યા નિપજાવી એમ ફરિયાદીએ જાહેર કર્યું છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર, મયૂર અને સંજય નામના શખ્સો મિલનભાઈના રહેણાંક મકાને રાતના સમયે પહોંચી ગયા હતાં અને મિલનભાઈને બેફામ માર માર્યો હતો, આ ઈજાઓને કારણે મિલનભાઈનું મોત થયું. આ બનાવમાં લોખંડની કોસ, દાતરડા જેવા હથિયારોનો ઉપયોગ થયો હતો. આરોપીએ મૃતકને માર મારવાનું શરૂ કર્યુ એ અગાઉ એમ પૂછ્યું હતું કે, કેમ તું મારી ઘરવાળી દક્ષાને ફોન કરશ ? અને બાદમાં આરોપીઓએ મૃતકને મરણતોલ માર માર્યો હતો.
ફરિયાદીએ એમ પણ લખાવ્યું છે કે, આ હુમલા વખતે ફરિયાદી તથા અશોકભાઈ નામની અન્ય એક વ્યક્તિ, મિલનભાઈને બચાવવા વચ્ચે પડ્યા હતાં, જેમાં અશોકભાઈને ઈજાઓ પણ થઈ છે. સંજય નામના શખ્સે લોખંડની કોસ વડે અશોકભાઈને ઈજાઓ પહોંચાડી હતી. મૃતકને બાદમાં બેભાન સ્થિતિમાં 108ની મદદથી જીજી હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં પરંતુ તેમને બચાવી શકાયા નહીં. બનાવ સ્થળે પહોંચી ગયેલી પોલીસે, હોસ્પિટલમાં મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહીઓ આટોપી હતી. હાલ પોલીસ આરોપીઓને શોધી રહી છે. આરોપી મયૂર ગોહિલ મધુરમ રેસિડેન્સિનો રહેવાસી છે. મધુરેશ્વર મંદિર પાસે રહે છે. જ્યારે અન્ય આરોપી સંજયનું એડ્રેસ ફરિયાદમાં નથી. હત્યાના આ બનાવે ઈન્દીરા સોસાયટી અને મધુરમ રેસિડેન્સિ સહિત નવાગામ ઘેડમાં ચકચાર મચાવી છે.