Mysamachar.in-જામનગર:
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આજે શનિવારની સવારથી ફરી એક વખત, શહેરના સ્વામિનારાયણનગર નજીકના વિસ્તારથી મેગા ડિમોલીશન કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ વિસ્તારમાં DP રોડ બનાવવાનો છે, જે મામલો પાંચેક વર્ષથી વિલંબિત થઈ રહ્યો હતો, આખરે આજે કપાત કામગીરીઓ તથા ડિમોલીશન કામગીરીઓ શરૂ થઈ છે.
સ્વામિનારાયણનગર અને ગાંધીનગર વિસ્તારને જોડતો આશરે 3.5 કિલોમીટર લંબાઈનો ડીપી રોડ બનાવવાનો છે. અગાઉ એવું નક્કી થયેલું કે, આ રોડ હાલમાં જે બનવાનો છે તેના કરતાં રોડની પહોળાઈ વધુ નક્કી કરવામાં આવી હતી. તેમાં સંખ્યાબંધ મિલકતો કપાતમાં જતી હતી અથવા ડિમોલીશન થતી હતી. જેતે સમયે વિરોધ વ્યક્ત થયો. ત્યારબાદ મહાનગરપાલિકાએ આ સૂચિત રોડની પહોળાઈ ઓછી રાખવામાં આવશે એવું જાહેર કર્યું. જેને કારણે ઘણી મિલકતો કપાતમાંથી બચી જતાં વિરોધ ઢીલો પડી ગયો.

ત્યારબાદ, માપણી અને માર્કિંગ તથા નોટિસ વગેરે કાર્યવાહીઓ બાદ આખરે આજે શનિવારે સવારથી આ રોડ માટેની ડિમોલીશન અને કપાત કામગીરીઓ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાએ જાહેર કરેલી વિગતો અનુસાર, આ કામગીરીઓમાં 300 પૈકી 80 મકાન મિલકતો અને 40 દુકાન મિલકતો આખી ડિમોલીશન થશે. અને અન્ય મકાનો તથા દુકાનોના અમુક ભાગોની કપાત થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ડિમોલીશન અને કપાત કામગીરીઓમાં આ વિસ્તારની અલગઅલગ સોસાયટીઝનો સમાવેશ થાય છે.

આ કામગીરીઓ દરમ્યાન મહાનગરપાલિકા તરફથી ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, શાખા અધિકારી મુકેશ ગોસાઈ સહિતની ટીમ તથા પોલીસ બંદોબસ્તની કામગીરીઓના સુપરવિઝન માટે સિટી DySP જયવીરસિંહ ઝાલા સહિતની પોલીસ ટીમો વગેરે હાજર રહ્યા હતાં.
