Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સાતેક વર્ષ અગાઉ એક વકીલની હત્યા થયેલી અને એ કેસ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સાબિત થયો છે જેના અમુક આરોપીઓ આજે પણ પકડાયા નથી. થોડા સમય પૂર્વે બેડી વિસ્તારમાં જામનગરના વકીલ હારુન પલેજાની પણ હત્યા થયેલ તે દરમ્યાન ગત્ રાત્રિના વધુ એક વકીલની કરપીણ હત્યાનો બનાવ કાલાવડ ટાઉન ખાતે સામે આવ્યો છે.
કાલાવડના વકીલ મંડળના સેક્રટરી ઈમ્તિયાઝ દોઢિયાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. મૃતક વકીલ ગત્ રાત્રે બહારથી આવી પોતાના ઘરનું તાળું ખોલી રહ્યા હતાં ત્યારે, એમ કહેવાય છે કે ત્રણ શખ્સો અચાનક પાછળથી ધસી આવ્યા હતાં અને છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા મારી દેતા ઈમ્તિયાઝભાઈ ઘરના ઉંબરામાં લોહીલુહાણ સ્થિતિમાં ઢળી પડ્યા હતાં અને તરત જ હુમલાખોરો નાસી છૂટ્યા હતાં. આ બનાવે કાલાવડ અને જામનગર સહિત સમગ્ર જિલ્લામાં વકીલમંડળોમાં ચકચાર અને ગમગીની ફેલાવી દીધી છે.
હુમલા બાદ લોહીલુહાણ સ્થિતિમાં રહેલા ઈમ્તિયાઝ દોઢિયાને તાકીદની સારવાર માટે પ્રથમ કાલાવડ હોસ્પિટલ ખાતે અને બાદમાં જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ ઈજાઓ ગંભીર હોવાને કારણે અને વધુ લોહી વહી જવાને કારણે એમને બચાવી શકાયા ન હતાં. આ બનાવની જાણ થતાં પોલીસે કાલાવડ સહિતના પંથકોમાં નાકાબંધી કરી, આરોપીઓને દબોચી લેવાની કામગીરીઓ શરૂ કરી દીધી હતી.
હત્યાના આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસમથકમાં દાખલ થયેલી ફરિયાદમાં ફરિયાદી આસિફભાઈ કેસરભાઈ દોઢિયા( મૃતકના ભાઈ)એ કાલાવડમાં જ રહેતાં 2 આરોપીઓ વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો ભીખા પરમાર નામના શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન, જાણવા મળે છે કે, પોલીસે રાતભર દોડધામ કરી આરોપીઓના સગડ મેળવી લીધાં છે અને બે પૈકી એક શખ્સ લાલો હાથમાં આવી ગયાનું જાણવા મળે છે.
કાલાવડ વકીલ મંડળના હોદ્દેદારની હત્યાની આ જાણકારીઓ મળતાં જ કાલાવડ અને જામનગરના કેટલાંક વકીલો હોસ્પિટલ દોડી ગયા હતાં. હત્યાનો આ બનાવને કારણે કાલાવડ શહેરમાં સનસનાટી મચી ગઈ છે. વકીલના મૃતદેહનું જામનગરની જીજી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. કાલાવડ PI આંબલિયાના માર્ગદર્શન મુજબ તપાસને આગળ વધારવામાં આવી રહી છે અને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવશે એમ જાણવા મળે છે.
-આ બનાવની પોલીસે જાહેર કરેલ વિગતોમાં સ્ત્રીપાત્રનું નામ…
કાલાવડ ટાઉન પોલીસમાં જાહેર થયેલી વિગતોમાં જણાવાયું છે કે, અગાઉ મૃતક ઈમ્તિયાઝ દોઢિયાએ આરોપી વૈભવ ચાવડાની પત્ની મયુરી પર નજર બગાડી હોવાના મામલે, થોડા સમય અગાઉ આ બંને વચ્ચે મનદુઃખ પણ થયું હતું. ત્યારબાદ વૈભવે પોતાના સાગરિત યોગેશ ઉર્ફે લાલા સાથે મળી કાવતરૂં રચી આ વકીલની હત્યા નીપજાવી છે અને આ બાબતે મૃતકના ભાઈ ફરિયાદી આસિફ દોઢિયાને આ બાબતે મોઢું બંધ રાખવા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.