Mysamachar.in-જામનગર:
જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાએ ચોમાસામાં સંભવિત દુર્ઘટનાઓ ટાળવા તથા નગરજનોને સુરક્ષિત રાખવા, ચોમાસા અગાઉની કામગીરીઓના ભાગરૂપે શહેરમાં આવેલા જર્જરીત અને જોખમી બાંધકામોને સલામત સ્ટેજે લઈ જવા નોટિસો પાઠવી દીધી છે. આ પ્રકારના બાંધકામો પૈકી જે બાંધકામો વધુ જોખમી જણાઈ રહ્યા છે તેવા બાંધકામો બાંધકામ ધારકોના ખર્ચે તોડી પાડવાની તૈયારીઓ થઇ ચૂકી છે.
આજે સોમવારે સવારે આ સંબંધે, મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અનિલ ભટ્ટ સાથે Mysamachar.in દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. એમણે જણાવ્યું કે, ગત્ વર્ષે આ પ્રકારના જે 217 બાંધકામોના ધારકોને નોટિસ આપવામાં આવી હતી તે પૈકી 25 બાંધકામધારકોએ પોતાના બાંધકામોમાં જરૂરી સમારકામ કરાવી બાંધકામોને સલામત સ્ટેજ સુધી લઈ જવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, બાકીના જર્જરીત બાંધકામો પૈકી 38 બાંધકામ ડિમોલીશન કરવામાં આવ્યા છે અને જોખમ દૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વર્ષે શહેરમાં આ પ્રકારના અન્ય જર્જરીત બાંધકામો શોધી કાઢવા સર્વે કર્યા બાદ, વધુ 38 જર્જરીત બાંધકામોના ધારકોને નોટિસ આપવામાં આવી છે. અનિલ ભટ્ટે અંતમાં જણાવ્યું કે, શહેરમાં વરસાદ આવવાની તૈયારીઓ છે અને ચાલુ વરસાદના સમયમાં આ જર્જરીત બાંધકામો તૂટી પડે અને કોઈ અનિચ્છનીય બનાવ બની જાય તે પહેલાં, સાવચેતીના ભાગરૂપે આગામી એકાદ બે દિવસમાં એસ્ટેટ શાખાને સાથે રાખી જેમને નોટિસ આપવામાં આવી છે એ પૈકીના વધુ જોખમી બાંધકામો અને જર્જરીત બાંધકામો પૈકીના જોખમી ભાગોને દૂર કરવાની કામગીરીઓ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગયા બાદ પણ કેટલાંક બાંધકામધારકો પોતાના જોખમી બાંધકામોનું સમારકામ કરાવતા હોતા નથી કે આવા જોખમને તોડી પાડતા નથી, જેથી દર વર્ષે ચોમાસામાં મકાનો કે છતો ધસી પડવાના બનાવો બનતા રહેતા હોય છે અને તેમાં લોકોના જીવ પણ જતાં હોય છે અથવા ઘણાં કિસ્સાઓમાં લોકો ઈજાગ્રસ્ત બનતાં હોય છે અથવા જાહેર રોડ પરના આવા જર્જરીત બાંધકામો ચોમાસામાં ધસી પડવાથી અકસ્માતો પણ સર્જાતા રહેતા હોય છે. આ પ્રકારની અમંગળ શકયતાઓ ટાળવા આ જોખમો શહેરના વિશાળ હિતમાં તાકીદે દૂર થવા જોઈએ એવી લોકલાગણી પણ વ્યક્ત થઈ રહી છે.