Mysamachar.in-જામનગર:
રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જીલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે, એવામાં પ્રથમ વખત એવું બન્યું છે કે શાળાઓ શરુ થયા બાદ એકીસાથે 13 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પોજીટીવ આવતા જીલ્લાના આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે, જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં આ મામલો ચિંતાનો વિષય બન્યો છે, કોરોના પોજીટીવ આવેલ તમામ વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ તેમના પરિવારજનોના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. તો જે ઉપલેટાની શાળામાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ જામજોધપુરથી 35 જેટલા છાત્રો ઉપલેટા પાસે આવેલી એક ખાનગી શાળામાં બસમાં અભ્યાસ કરવા માટે જાય છે, જેમાં ધો. 1 થી 10 ના વિદ્યાર્થીઓ પ્રતિદિન અપડાઉન કરે છે. જે પૈકી દસમા ધોરણની એક વિદ્યાર્થીની કે જે જામજોધપુરમાં રહે છે, તેણીને તાવ શરદીની અસર થઇ હોવાથી સોમવારે શાળાએ ગઈ ન હતી. જેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વિદ્યાર્થીના પરિવારમાં ચિંતા પ્રસરી હતી.દરમિયાન તેનાં પરિવારજનોએ અન્ય વિદ્યાર્થીઓને પણ જાણકારી આપી હતી. જેથી જામજોધપુર રહેતા અને ઉપલેટાની શાળામાં અભ્યાસ કરવા જતા 35 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સ્કૂલ બસમાં તમામ વિદ્યાર્થીઓને જામજોધપુર લઈ આવ્યા પછી બપોરે એક વાગ્યે આરોગ્ય કેન્દ્રમાં પ્રત્યેક વિદ્યાર્થીઓના કોરોના પરીક્ષણ કરાવાયા હતા. જેમાં એકસાથે વધુ 13 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે દોડધામ મચી ગઇ હતી. કોરોનાથી સંક્રમિત તમામ 13 વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ પ્રત્યેક વિદ્યાર્થીના વાલી અને તેમના અન્ય પરિવારજનોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઇ છે.
વિદ્યાર્થીઓના સંક્રમિત થયાના અહેવાલને પગલે ઉપલેટા પંથકમાં આવેલી શાળા કે જ્યાંથી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાનું અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાથી શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવા જણાવાયું છે.આટલા વિદ્યાર્થીઓ એકીસાથે પોજીટીવ આવતા એ બાબત ચોક્કસ છે કે કોરોના નિયમોનું પાલન શાળાઓમાં થાય તે માટે સરકારનો શિક્ષણ વિભાગ ભલે દાવાઓ કરે પણ ક્યાંક પાછળ પડી રહ્યો છે.