હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે ખેડૂતોને પાક નુકશાન સામે આર્થિક ટેકો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઈનપુટ સહાય ઉપરાંત આપત્તિની તિવ્રતાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય પણ આપવામાં આવે છે.
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખેડૂતોને થયેલા પાક નુકશાન સામે ૯૯.૪૩ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.૧૨,૩૮૯ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ-૨૦૨૪ સિઝનમાં થયેલા ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં તથા જુનાગઢ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, ઘાસચારો અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું. જેનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના ૧૮,૦૨૩ તેમજ પોરબંદર જિલ્લાના ૫૦,૨૦૬ ખેડૂતોને મળી ૬૮,૨૨૯ ખેડૂતોને કુલ રૂ. ૧૦૦ કરોડથી વધુ પાક નુકશાન સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી છે.(file image)