Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારના વહીવટી સુધારણા પંચે સરકારને મોકલેલી ભલામણમાં કહ્યું છે કે, રાજ્યની દરેક સરકારી કચેરીના સમયમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે. હજુ તો આ માત્ર ભલામણ જ છે, ત્યાં જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ સરકાર સમક્ષ મોરચો ખોલી દીધો અને પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી દીધી.

વહીવટી સુધારણા પંચે સરકારને માત્ર એટલું જ કહ્યું છે કે, રાજ્યની સરકારી કચેરીઓ સવારે શરૂ થવાનો સમય વહેલો કરવાની જરૂર છે. આ વાત બહાર આવતાં જ કર્મચારીઓના વિવિધ સંઘો મેદાનમાં આવ્યા છે. કર્મચારીઓ કહે છે કે, કચેરીઓનો સમય વહેલો થાય તેની સામે કર્મચારીઓને કોઈ વાંધો નથી પરંતુ સરકારે દરેક કચેરીમાં કામના દિવસો સપ્તાહમાં પાંચ કરી નાંખવા જોઈએ. એટલે કે સરકારી કચેરીઓ સોમથી શુક્ર કામ કરે અને દરેક શનિવારે રજા. કર્મચારીઓ આમ પાંચ દિવસના અઠવાડિયાની માંગ કરે છે. જો કે આ આખો વિષય હજુ જો અને તો આધારિત છે. ભવિષ્યમાં આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે.(file image)
